નેશનલબિઝનેસ

આસામ પૂર રાહત માટે ગૌતમ અદાણીનું ૧૧ કરોડનું યોગદાન, અદાણી ફાઉન્ડેશને ૮,૦૦૦ પરિવારો સુધી મદદ પહોંચાડી

ગુવાહાટી : અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આસામના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યો માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં ₹૧૧ કરોડનું યોગદાન આપ્યું છે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સહાયની પ્રશંસા કરતા લખ્યું છે કે, આ આર્થિક સહયોગ રાજ્ય સરકારના રાહત અભિયાનને વધુ વેગ આપશે અને મુશ્કેલીમાં મુકાયેલા હજારો પરિવારોને મોટી રાહત આપશે.

આ આર્થિક સહયોગની સાથે જ, અદાણી ગ્રૂપની સામાજિક કલ્યાણ અને વિકાસ સંસ્થા ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા ઉપલા આસામમાં વ્યાપક પૂર રાહત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં અદાણી સ્માર્ટ મીટર અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની પેટાકંપની ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (GIAL) પણ સહયોગ આપી રહી છે.

આ રાહત અભિયાન અંતર્ગત શિવસાગર જિલ્લાના નાઝિરા સબ-ડિવિઝન અને ધેમાજી જિલ્લાના સિલાપથારમાં આશરે ૮,૦૦૦ પરિવારો સુધી પૂર રાહત કીટ પહોંચાડવામાં આવી રહી છે. પ્રત્યેક રાહત કીટમાં જીવનજરૂરી અન્ન સામગ્રી, દવાઓ અને સેનિટાઇઝેશન તેમજ હાઇજીન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે, જેથી પૂરના કારણે વિખેરાયેલા જીવનને ફરી બેઠું કરી રહેલા પરિવારોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી થઈ શકે.

આ રાહત કામગીરી નાઝિરાના ૧૪ ગામો (ગુરમુર મીરી-નેપાલી બસ્તી, સાંતક ગ્રાન્ટ, બાલીગાંવ, રોજાપૂલ દુવારાહ ગામ, બામુનપુખુરી, ગોહાઈન ગામ-કોમલ સાપોરી, હુલાંગ કટોની, હુલાંગ કલિતા, બેંગમોરા કોંવર ગામ, બાઈલુંગ ગામ, મીરી ગામ, ઓગુરીજાન અને બિહુબોર ગ્રાન્ટ) તેમજ સિલાપથારના પૂર પ્રભાવિત વિસ્તારોને આવરી લે છે. અદાણી ફાઉન્ડેશનની ટીમો અત્યંત દુર્ગમ અને પછાત વિસ્તારો સુધી પહોંચીને પાયાની મદદ સુનિશ્ચિત કરી રહી છે.

અદાણી ફાઉન્ડેશન માટે આપત્તિ સમયે રાહત એ પુનર્વસનનું પ્રથમ પગથિયું છે. આસામના પરિવારોની પડખે ફાઉન્ડેશન અડીખમ બનીને ઉભુ છે. સમગ્ર સમુદાયને વધુ મજબૂત તથા સક્ષમ બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button