સુરત

સુરત: વેસુમાં લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ-2026ની 22 ફૂટની ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બનશે, 12મીએ ભવ્ય આગમનયાત્રા

ડ્રોન શો સાથે ઉમેશ બારોટ, રાજ ગઢવી અને કિટ્ટૂ સિંઘે આપશે પરફોર્મન્સ; 11 દિવસમાં 10 લાખ ભક્તો ઉમટવાની શક્યતા

સુરત: વેસુમાં લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ-2026ની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હેપ્પી એક્સેલન્સિયા સામે બાલર ફાર્મ ખાતે 40 હજાર ચોરસ ફૂટના વિશાળ સંકુલમાં 11 દિવસીય ગણેશોત્સવ યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ, ઉત્સવ દરમિયાન આશરે 10 લાખ ભક્તો અને મુલાકાતીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

ઉત્સવનું મુખ્ય આકર્ષણ ટીશ્યુ પેપરથી બનાવવામાં આવેલી 22 ફૂટ ઊંચી પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિ રહેશે. રોયલ સિંહાસન પર બિરાજમાન ગણેશજીની પ્રતિમાને ચાંદીના દાગીના અને સોનાના વરખથી શણગારવામાં આવશે. પ્રખ્યાત શિલ્પકાર સિદ્ધેશ દિઘોલેએ આ પ્રતિમા તૈયાર કરી છે.

12 સપ્ટેમ્બરે ભવ્ય આગમનયાત્રા

તા. 12 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ગણેશજીની ભવ્ય આગમનયાત્રા યોજાશે. તેમાં ખાસ આકર્ષણ ડ્રોન શો રહેશે. આ ઉપરાંત સંગીતકાર ઉમેશ બારોટ, રાજ ગઢવી અને કિટ્ટૂ સિંઘે પરફોર્મન્સ આપશે.

દર્શન સાથે સેવા અને સામાજિક જાગૃતિ

11 દિવસ દરમિયાન મહાપ્રસાદ અને ભોજન સેવા, મફત સંપૂર્ણ શરીર આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ અને મેગા રક્તદાન શિબિર સહિતની વિવિધ સેવાઓનું આયોજન કરાયું છે. વૃદ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમના બાળકો તથા દિવ્યાંગ અને વિશેષ બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

ઉત્સવમાં પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક નિયમો, જાહેર સલામતી, સાયબર સુરક્ષા અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ જેવા અભિયાનો પણ ચલાવવામાં આવશે. થર્મોકોલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પણ લોકોને સંદેશ આપવામાં આવશે.

આ ઉપરાંત કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પણ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તોની હાજરીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સાથે સંકલન કરીને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આયોજકોના જણાવ્યા મુજબ, લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ માટે 6 કરોડથી વધુનો પ્રસ્તાવિત ખર્ચ છે. તેમનો મુખ્ય સંદેશ ‘દર્શન સાથે સેવા, ઉજવણી સાથે સંસ્કૃતિ અને ભવ્યતા સાથે જવાબદારી’ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button