નવી સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તની અછત નિવારવા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: તબીબો અને આરોગ્યકર્મીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
૪૨ બોટલ રક્ત એકત્રિત કરાયું: સુરતમાં તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધતા નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાન માટે સંસ્થાઓ, નાગરિકોને ખાસ અપીલ

સુરત: નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી-ખાંસી અને તાવના કેસોમાં અચાનક થયેલા વધારા તેમજ નિયમિત ઓપરેશનોને કારણે સર્જાયેલી રક્તની અછતને પહોંચી વળવા માટે એક વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળુ અને દિવાળી જેવા તહેવારોની રજાઓ તેમજ મોસમી બિમારીઓના કારણે હોસ્પિટલમાં દર મહિને નિયમિત ૨,૦૦૦ બોટલ રક્તની જરૂરિયાત રહે છે, જેની સામે હાલ પૂરતો સ્ટોક મર્યાદિત હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓના હિતમાં સિવિલ હોસ્પિટલના તબીબો, રેસિડેન્ટ ડોક્ટરો, તબીબી-નર્સિંગ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરી ૪૨ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું.
‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ના ઉદાહરણ સાથે હોસ્પિટલના પોતાના જ અધિકારી-કર્મચારીઓમાં સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. લક્ષ્મણ તેહલાણી, ડૉ. સુમિત જાગાણી અને ડૉ. બર્મન સહિતના તબીબી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સેનિટેરી ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર અને સફાઈ કર્મીઓએ સિવિલ બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે સિવિલની બ્લડ બેંકના વડા ડૉ. જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રક્તનું દરેક એક બુંદ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીનો અમૂલ્ય જીવ બચાવવામાં નિર્ણાયક બને છે. સિવિલને દૈનિક ધોરણે ૮૦ થી ૯૦ રક્તની બોટલની જરૂર પડે છે, અને અકસ્માતના કેસો, ડિલિવરી, મેજર ઓપરેશનો, સિકલ સેલ એનેમિયા તેમજ ડેન્ગ્યુના ગંભીર દર્દીઓ માટે રક્ત જીવનરક્ષક સાબિત થાય છે. દૂર-દૂરથી આવતા અસહાય કે સાથે સગાવ્હાલા ન હોય તેવા દર્દીઓ માટે પણ સિવિલ હોસ્પિટલની ૨૪ કલાક કાર્યરત બ્લડ બેંક દ્વારા વિનામૂલ્યે રક્તની પૂર્તિ કરવામાં આવે છે.
તબીબી અધિક્ષક ડો. પારૂલ વડગામાએ ગણેશોત્સવ અને નવરાત્રીના તહેવારના દિવસોમાં નાગરિકો, યુવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓને નવી સિવિલ હોસ્પિટલના રક્તદાન કેન્દ્ર ખાતે આવીને વધુમાં વધુ રક્તદાન કરવા અને માનવસેવાના આ યજ્ઞમાં સહભાગી થવા હાર્દિક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, રક્તદાન એ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સમાન છે. તહેવારોની ખુશીઓ અને ઉત્સાહ વચ્ચે આપણી સામાજિક જવાબદારી સમજીને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે જરૂરી છે.
આ પ્રસંગે આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, TNAI ના સેક્રેટરી ઇકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેડન્ટ સર્વશ્રી નિરજા પટેલ અને ભાવિની પટેલ તથા બ્લડ બેંકના ડૉ. ચિરાગ ઉનાગર, ડૉ. તેજસ કંસારા અને ડૉ. ભાવિકા નાકરાણી, કાઉન્સેલર કાજલબેન પરમાર, નર્સિંગ એસોસિએશનના જગદીશ બુહા ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.



