ધર્મ દર્શન

પેરિસમાં મંદિર મહોત્સવ અંતર્ગત મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો 

પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ : ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ અવસર પૂર્વે બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આ મહાયજ્ઞ 2થી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં વિવિધ દેશોના પરિવારો ભાગ લઈ પ્રાર્થના, ભક્તિ અને સેવાના ભાવ સાથે ફ્રાન્સમાં હિન્દુ ધર્મના આ ઐતિહાસિક નવા અધ્યાયમાં સહભાગી બનશે.

પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આયોજિત આ મહાયજ્ઞમાં વિશ્વભરમાંથી આવેલા યજમાનો અને ભક્તોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી. યજ્ઞવિધિ દ્વારા વિશ્વશાંતિ અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

હિન્દુ પરંપરામાં યજ્ઞ પ્રાચીન ઉપાસનાવિધિ છે, જેમાં ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, ભક્તિ અને સર્વના કલ્યાણની ભાવના વ્યક્ત થાય છે. નવા મંદિરના લોકાર્પણ પૂર્વે યોજાતો મહાયજ્ઞ સમગ્ર પરિસરને પવિત્ર બનાવતી અને ભક્તોને આધ્યાત્મિક રીતે આ ઐતિહાસિક પ્રસંગ માટે તૈયાર કરતી વિધિઓનો મહત્વપૂર્ણ ભાગ છે.

મહંત સ્વામી મહારાજે યજ્ઞ સ્થળે પધારી પ્રાર્થના કરી હતી અને ઉપસ્થિત સૌને આશીર્વાદ આપતાં જણાવ્યું, “પેરિસ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે અહીં વિશ્વશાંતિ મહાયાગ થઈ રહ્યો છે. તો પ્રાર્થના કરીએ કે આખા વિશ્વમાં સુખ-શાંતિ રહે, સંપનું વાતાવરણ રહે. પેરિસના સૌ હરિભક્તો તને-મને-ધને ખૂબ સુખી થાય.” તેમની પાવન ઉપસ્થિતિ દ્વારા ઉપસ્થિત સૌ કોઈ માટે આજનો વૈદિક મહાયજ્ઞ વિશિષ્ટ સ્મૃતિરૂપ બની રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button