પાલ ખાતે ‘કૃષ્ણ વે કોન્સર્ટ’નો ભવ્ય આયોજન, 1100થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક સંગીતનો આનંદ
શ્રીકૃષ્ણના જીવનમૂલ્યોને આધુનિક અંદાજમાં રજૂ કરી સકારાત્મક જીવનશૈલીનો સંદેશ

સુરત: પાલ વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે 1 મેના રોજ ‘Spok-CT’ દ્વારા અનોખા આધ્યાત્મિક અને સંગીતમય કાર્યક્રમ ‘કૃષ્ણ વે કોન્સર્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોના વિચારોને ઉન્નત બનાવવાનો અને ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર દ્વારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો અને વિચારધારાને આધુનિક રીતે રજૂ કરવામાં આવ્યા, જે વ્યક્તિગત જીવન, વ્યવસાય અને પરિવારિક સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રેરણાદાયી સાબિત થયા. કીર્તન અને સંગીતના સુંદર સમન્વય સાથે આયોજિત આ કોન્સર્ટમાં લગભગ 1100 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સંગીતમાં તલ્લીન થઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કલાકારોની વિશેષ હાજરી રહી હતી. જેમાં ભાગવત પ્રસાદ દ્વારા પ્રેઝન્ટેશન, હિરેન (આંતરરાષ્ટ્રીય મૃદંગા વાદક), રાધિકા દાસ સાથે લાઇવ પરફોર્મન્સ, ગોવિંદ (આંતરરાષ્ટ્રીય વાંસળી વર્ચુસો), તેમજ પ્રેમ હરિ અને વિક્રમ રાજપૂત દ્વારા ભાવભીની રજૂઆત કરવામાં આવી હતી.
આયોજકોના જણાવ્યા મુજબ, શ્રીકૃષ્ણના વિચાર અને ચરિત્ર માનવ જીવનમાં નવી દિશા આપી શકે છે. સકારાત્મક વિચારો અને સારા સંસ્કારો દ્વારા જીવનને સુખમય અને સંતુલિત બનાવી શકાય છે.

‘Spok-CT’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે જોડાયા હતા. આયોજકોનું માનવું છે કે આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.



