સુરત

વર્ષો જૂની માંગ સંતોષાઈ: કર્ણાવતી એક્સપ્રેસને નવસારીમાં સ્ટોપેજ, વલસાડ–બોરીવલી મેમૂ સુરત સુધી લંબાશે

નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર છે. સ્થાનિક નાગરિકો, વિવિધ સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓની વર્ષો જૂની માંગને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે 12933/12934 કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી આપી છે. સાથે જ વલસાડ–બોરીવલી મેમૂ (69139) ટ્રેનને સુરત સુધી લંબાવવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી હજારો દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે.

તાજેતરમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરીને આ સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. આ રજૂઆત બાદ રેલવે મંત્રાલયે બંને માંગણીઓને મંજૂરી આપી હોવાનું જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વંદે ભારત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ સહિત અન્ય કેટલીક ટ્રેનોને પણ નવસારી ખાતે સ્ટોપેજ આપવા અંગે ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય આવી શકે છે.

આ નિર્ણય બદલ ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહે નવસારી જિલ્લા વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button