બિઝનેસસુરત

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો સ્થાપવા GAICL અને SGCCI વચ્ચે બેઠક યોજાઈ

સરકાર, GAICL, એરપોર્ટ ઓથોરિટી અને ચેમ્બરના સંકલનથી પ્રોજેક્ટને ગતિ આપવા સહમતિ

સુરત : સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રસ્તાવિત ‘સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો’ (Centre for Perishable Cargo – CPC)ની સ્થાપના અંગે ગુજરાત સરકારના ઉપક્રમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAICL) ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) વચ્ચે સરસાણા સ્થિત ‘સંહતિ’ ભવન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પેરિશેબલ (ઝડપથી બગડી જતી/નાશવંત) અને સમય-સંવેદનશીલ ચીજવસ્તુઓના ઝડપી, સુરક્ષિત અને અદ્યતન હવાઈ નિકાસ પરિવહન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતના કૃષિ અને મરીન ઉત્પાદનોની વૈશ્વિક માગ: અશોક જીરાવાલા

ચેમ્બર પ્રમુખ  અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “દક્ષિણ ગુજરાત માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ પૂરતું સીમિત નથી, પરંતુ કૃષિ, બાગાયત અને મરીન પ્રોડક્ટ્સ ક્ષેત્રે પણ પ્રદેશમાં અજોડ ભૌગોલિક અનુકૂળતા અને વિશાળ ઉત્પાદન ક્ષમતા છે. દક્ષિણ ગુજરાત પટ્ટાની પ્રખ્યાત વલસાડી હાફૂસ અને કેસર કેરી પોતાની અદ્‌ભુત મીઠાશ અને સુગંધ માટે વિશ્વભરમાં જાણીતી છે. તેવી જ રીતે ભૌગોલિક ઓળખ ધરાવતા નવસારી-વલસાડના સ્વાદિષ્ટ ચીકુ તેમજ સુરત, નવસારી અને ભરૂચના દરિયાકાંઠે મોટા પાયે થતા એક્વાકલ્ચર-ઝીંગા (Shrimp)ની ગલ્ફ દેશો, અમેરિકા, યુરોપ અને જાપાન જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારે માંગ રહે છે.”

તેમણે વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “સ્થાનિક બાગાયતી પાકો માટે પશ્ચિમ રેલવે દ્વારા અમલસાડ અને બીલીમોરાથી દિલ્હી તથા ઉત્તર ભારતના રાજ્યો સુધી દોડાવવામાં આવતી ‘ચીકુ સ્પેશિયલ ટ્રેન’ દેશભરમાં એગ્રો-લોજિસ્ટિક્સનું સફળ મોડલ સાબિત થઈ છે. હવે જો સુરત એરપોર્ટ પર આધુનિક CPC સ્થાપવામાં આવે તો સ્થાનિક ખેડૂતો અને નિકાસકારોને દેશના આંતરિક બજારો માટે રેલવે અને વૈશ્વિક બજારો માટે સીધું એર-કાર્ગો એમ બેવડો લાભ મળશે. કેરી, ચીકુ, તાજા શાકભાજી અને ઝીંગા જેવી નાશવંત વસ્તુઓ મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ ગયા વિના અહીંથી જ ગણતરીના કલાકોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પહોંચતાં ઉત્પાદનોની તાજગી જળવાશે અને ખેડૂતોને ઊંચા ભાવ મળશે.”

પ્રમુખએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સુરત એરપોર્ટના વિકાસને માત્ર પેસેન્જર ટ્રાફિક સુધી સીમિત રાખવાને બદલે એર-કાર્ગો અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિસ્તારવાની પૂર્ણ સંભાવનાઓ છે. યોગ્ય કોલ્ડ ચેઇન, સ્પેશિયલાઇઝ્ડ સ્ટોરેજ અને હૅન્ડલિંગ સુવિધાઓ ઉપલબ્ધ થતાં સુરત નાશવંત વસ્તુઓની નિકાસ માટે પશ્ચિમ ભારતનું એક મજબૂત ગેટવે બની શકે છે. આ માટે સરકાર, GAICL, SGCCI, એરપોર્ટ ઓથોરિટી અને ઉદ્યોગજગત વચ્ચે સંયુક્ત ભાગીદારી અનિવાર્ય છે અને ચેમ્બર આ પહેલને આગળ વધારવા સંપૂર્ણ સહયોગ આપશે.”

એર-કાર્ગો હબ બનવા તરફ મહત્વનું કદમ: લિનેશ શાહ

ચેમ્બરની એવિએશન/એરપોર્ટ કમિટીના ચેરમેન  લિનેશ શાહે જણાવ્યું હતું કે, “સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને મજબૂત એવિએશન અને કાર્ગો હબ બનાવવા માટે સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો (CPC) એક અતિ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાબિત થશે. વલસાડી કેરી, ચીકુ, શાકભાજી અને ઝીંગા જેવી નાશવંત કોમોડિટીઝ માટે યોગ્ય કાર્ગો વ્યવસ્થા ઉપલબ્ધ થતાં સ્થાનિક ઉત્પાદનો ગલ્ફ, મિડલ ઇસ્ટ અને યુરોપિયન દેશો સહિતના વૈશ્વિક બજારો સુધી ગણતરીના કલાકોમાં પહોંચાડી શકાશે, જેનાથી એક્સપોર્ટર્સ માટે નવા વેપારના દરવાજા ખુલશે.”

આ બેઠકમાં ચેમ્બર પ્રમુખ  અશોક જીરાવાલા, એવિએશન કમિટીના ચેરમેન  લિનેશ શાહ, એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી કમિટીના ચેરમેન  કે. બી. પીપલિયા તેમજ GAICL તરફથી ઇન્ચાર્જ ડિવિઝનલ મેનેજર (P&A)  વનરાજસિંહ બી. વાઘેલા અને કન્સલ્ટન્ટ કંપની સેક્રેટરી  હિતેશ બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષોએ આગામી તબક્કાની કામગીરી અને સંકલન જાળવી રાખવા સહમતિ દર્શાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button