ચેમ્બરના 7 સભ્યોના પ્રતિનિધિમંડળે શ્રીલંકામાં આયોજિત ‘જેમ સિટી રત્નપુરા-2026’ પ્રદર્શનની મુલાકાત લીધી
સુરત અને શ્રીલંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ વધારવા આ મુલાકાત સીમાચિહ્નરૂપ સાબિત થશે: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

સુરત : સુરત અને દક્ષિણ ગુજરાતના રત્ન તેમજ આભૂષણ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવા વ્યાપારિક દ્વાર ખોલવાના ઉદ્દેશ સાથે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના 7 સભ્યોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે શ્રીલંકાના રત્નપુરા સ્થિત ગ્રાન્ડ સિલ્વર રે હોટેલ ખાતે આયોજિત બે દિવસીય આંતરરાષ્ટ્રીય જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘જેમ સિટી રત્નપુરા-2026’ (Gem City Ratnapura-2026)ની મુલાકાત લીધી હતી.
દ્વિપક્ષીય વ્યાપાર સંબંધો મજબૂત બનશે: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
આ સફળ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતાં ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “સુરત વિશ્વભરમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું વૈશ્વિક પાટનગર છે, જ્યારે શ્રીલંકા સદીઓથી ઉત્કૃષ્ટ કલર્ડ જેમસ્ટોન્સ અને કુદરતી રત્નો માટે પ્રખ્યાત છે. ચેમ્બરના 8 સભ્યોના પ્રતિનિધિમંડળની આ મુલાકાતથી સુરતના જ્વેલરી ઉત્પાદકો માટે કાચા માલની સીધી પ્રાપ્તિ, લેપિડરી પ્રોસેસિંગ તકનીકોનું આદાન-પ્રદાન અને વૈશ્વિક નેટવર્કિંગના નવા દ્વાર ખુલશે. બંને દેશો વચ્ચે રત્ન-આભૂષણ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ આપવાની દિશામાં આ મુલાકાત સીમાચિહ્નરૂપ સાબિત થશે.”
પ્રતિનિધિમંડળમાં સામેલ અગ્રણીઓ
આ આંતરરાષ્ટ્રીય મુલાકાતમાં સુરત ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ જયેશ પટેલ, વિરલ લુવાની, વિનોદભાઈ ડાભી, મિતેશ શર્મા, શ્રીમતી શ્રેયા શર્મા, હર્ષ વર્મા અને સ્પર્શ વર્મા જોડાયા હતા.
ઉદ્ઘાટન સમારોહ અને ‘એ સિમ્ફની ઓફ સિલોન જ્વેલરી’ ફેશન શો
પ્રદર્શનના પ્રથમ દિવસે 31 ઓગસ્ટ 2026ના રોજ આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીલંકાના વિદેશી બાબતો, વિદેશી રોજગાર અને પ્રવાસન મંત્રી વિજિથા હેરથ તેમજ ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ મંત્રી સુનિલ હંદુન્નેતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SGCCI પ્રતિનિધિમંડળના વડાનું આયોજકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ પ્રતિનિધિમંડળે શ્રીલંકાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વૈશ્વિક ટ્રેન્ડ્સનું આકર્ષક ફ્યુઝન દર્શાવતા ‘એ સિમ્ફની ઓફ સિલોન જ્વેલરી’ ફેશન શોના સેશન્સ નિહાળ્યા હતા.
B2B બેઠકો અને માઇનિંગ-પ્રોસેસિંગ સાઇટ્સની ફિલ્ડ વિઝિટ
પ્રદર્શન દરમિયાન ઉદ્યોગ સ્તરે જોડાણો મજબૂત કરવા સત્તાવાર બેઠકોનું આયોજન થયું હતું, જેમાં સુરતના ઉદ્યોગકારોએ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બાયર્સ સાથે વન-ટુ-વન (B2B) બિઝનેસ મિટિંગ્સ યોજી હતી. આ ઉપરાંત ‘સસ્ટેનેબલ માઇનિંગ ઇન્ડસ્ટ્રી ઓફ શ્રીલંકા’ પરના ગેસ્ટ લેક્ચરમાં પણ હાજરી આપી હતી.
આ પ્રવાસના વિશેષ આકર્ષણરૂપે પ્રતિનિધિમંડળે રત્નપુરાથી એક કલાકના અંતરે આવેલી સક્રિય જેમસ્ટોન માઇનિંગ સાઇટ (ખાણ), લેપિડરી (રત્નોના કટિંગ, પોલિશિંગ અને ફેસેટિંગનું યુનિટ), જેમ-પ્રોસેસિંગ કંપની તેમજ હીટ-ટ્રીટમેન્ટ ફેક્ટરીની પ્રત્યક્ષ ફિલ્ડ વિઝિટ કરી હતી. પ્રતિનિધિમંડળે કુદરતી રત્નોના ઉત્ખનન તેમજ ગેઉડા રત્નોના હીટ-ટ્રીટમેન્ટ દ્વારા મૂલ્યવર્ધન કરવાની પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓનો જાતમાહિતી મેળવી હતી.



