
સુરત: અમદાવાદમાં ઓક્ટોબર માસમાં યોજાનારા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં સુરતના ઉદ્યોગજગતની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન પ્રભારી બલદેવ પ્રજાપતિના સુરત પ્રવાસ દરમિયાન FOSTTAના પ્રમુખ હંસરાજ જૈન અને મહામંત્રી દિનેશ કટારિયા સાથે આ બેઠક યોજાઈ હતી.
લઘુ ઉદ્યોગ ભારતી સુરતના જિલ્લા પ્રમુખ રામાવતાર પારીકે જણાવ્યું હતું કે FOSTTA દ્વારા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગને જોડાવા માટે સહયોગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ ફેર સુરતના ટેક્સટાઇલ સહિત અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા, ઉત્પાદનો અને ટેક્નોલોજી પ્રદર્શિત કરવાની મહત્વપૂર્ણ તક છે.
અમદાવાદમાં યોજાનારા આ ફેરમાં આશરે 2 લાખ લોકો ભાગ લે તેવી શક્યતા છે. ફેરમાં એન્જિનિયરિંગ, ડિફેન્સ, એરોસ્પેસ, ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ, પ્લાસ્ટિક અને પેકેજિંગ, કેમિકલ અને ફાર્મા, રિન્યુએબલ એનર્જી તથા ટેક્સટાઇલ અને ગારમેન્ટ સહિત 8 મુખ્ય ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.
બલદેવ પ્રજાપતિએ સુરતના ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનોને મોટી સંખ્યામાં ફેરમાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આવા ઔદ્યોગિક આયોજનો દ્વારા ઉદ્યોગકારોને નવા બજારો, નવી ટેક્નોલોજી અને નવા વ્યવસાયિક અવસરો સાથે જોડાવાની તક મળે છે.
ફેર અંગે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને કમિશનર જે.બી. દવે સાથે પણ મુલાકાત કરી આયોજન તથા આગામી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સુરતના ઔદ્યોગિક ક્ષેત્રની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લઘુ ઉદ્યોગ ભારતી સુરતના મહામંત્રી સતીશ સવાણી, મીડિયા હેડ મહેન્દ્ર પટેલ, સંભાગ મંત્રી રાજેન્દ્ર ચૌધરી, ઉપપ્રમુખ રમેશ રાઠી અને ખજાનચી શ્વિનોદ સારસ્વત સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.



