બિઝનેસ

ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી

ભારત આ પહેલ દ્વારા ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી શકે છે

મુંબઈ, 31 ઓગસ્ટ: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ભારતની અગ્રણી ક્રેડિટ રેટિંગ સંસ્થા કેરએજ ગ્રૂપને એક મહત્વપૂર્ણ આહ્વાન કરતાં જણાવ્યું છે કે બદલાતા વૈશ્વિક અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને હવે મૂલ્યાંકનની નવી પદ્ધતિઓ અપનાવવાનો સમય પાકી ગયો છે. તેમણે ભારતમાં વિશ્વનું પ્રથમ ‘ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટ ફ્રેમવર્ક’વિકસાવવા હાકલ કરી હતી.

કેરએજ સાથેના લગભગ બે દાયકાના સંબંધનો ઉલ્લેખ કરતાં શ્રી અદાણીએ જણાવ્યું કે આજે આ સંબંધ ૧૦૦થી વધુ સંસ્થાઓ અને રુ.3 લાખ કરોડથી વધુ મૂલ્યાંકિત એસેટ્સ સુધી વિસ્તર્યો છે. આ સંદર્ભમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે જે માપદંડો ભારતના જોખમોનું મૂલ્યાંકન કરે છે, તે જ માપદંડો ભારતની વધતી ક્ષમતાઓ અને સંભાવનાઓને કેમ ઓળખી શકતા નથી?

તેમણે જણાવ્યું કે વર્તમાન મૂલ્યાંકન માળખાં એવા સમયગાળા દરમિયાન વિકસ્યાં હતાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ મર્યાદિત હતો અને પ્રોજેક્ટ્સને સ્વતંત્ર એસેટ તરીકે જોવામાં આવતા હતી. પરંતુ આજે ભારત એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઊભા કરી રહ્યું છે, જે માત્ર એક સંપત્તિ નહીં પરંતુ સમગ્ર આર્થિક પ્રવૃત્તિ, ઉદ્યોગો, રોજગાર અને નવી તકોનું સર્જન કરતા પ્લેટફોર્મ્સ બની રહ્યા છે.

ગુજરાતના મુન્દ્રા પોર્ટનું ઉદાહરણ આપતાં શ્રી અદાણીએ જણાવ્યું કે એક બંદર તરીકે શરૂ થયેલો પ્રોજેક્ટ આજે રેલવે, લોજિસ્ટિક્સ, ઊર્જા અને ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલા વિશાળ આર્થિક કેન્દ્રમાં પરિવર્તિત થયો છે. તેમણે કહ્યું કે, “જો આપણે માત્ર આજે દેખાતી માંગ માટે જ આયોજન કરીશું તો આવતીકાલની તકો માટે ભારત મોડું પડશે.

તેમણે કેરળના વિઝિંજમ ઇન્ટરનેશનલ સીપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેનું મહત્વ બંદર કરતા વિશેષ ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને વૈશ્વિક વેપારમાં તેની સ્થિતિને મજબૂત બનાવવામાં છે. લાંબા સમય સુધી ભારતને તેના કન્ટેનર કાર્ગો માટે વિદેશી બંદરો પર આધાર રાખવો પડતો હતો, જ્યારે વિઝિંજમ દેશને આ દિશામાં આત્મનિર્ભરતા તરફ આગળ વધારશે.

શ્રી અદાણીએ ગુજરાતના ખાવડા ખાતે વિકસાવવામાં આવી રહેલા 30 ગીગાવોટના વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી વિકાસ પ્રોજેક્ટને નવી પેઢીના પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ખાવડાનું વાસ્તવિક મહત્વ માત્ર વીજ ઉત્પાદન ક્ષમતામાં નથી, પરંતુ ઊર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંકલનમાં છે.

તેમણે ઉમેર્યુ કે, “પરંપરાગત રેટિંગ ફ્રેમવર્ક્સ અલગ-અલગ એસેટ્સનું મૂલ્યાંકન કરે છે, પરંતુ આજના યુગમાં વાસ્તવિક મૂલ્ય ત્યાં સર્જાય છે જ્યાં ઊર્જા, ડેટા અને મેન્યુફેક્ચરિંગ એકબીજા સાથે જોડાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં માત્ર શ્રેષ્ઠ એલ્ગોરિધમ્સ કે સોફ્ટવેર જ નિર્ણાયક નહીં બને, પરંતુ તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ મહત્વપૂર્ણ બનશે જે AIને મોટા પાયે વિકસાવવામાં સક્ષમ બનાવે. ડેટા સેન્ટર્સ, સ્વચ્છ ઊર્જા, ટ્રાન્સમિશન નેટવર્ક અને જમીન જેવી સગવડો ભવિષ્યની વૈશ્વિક સ્પર્ધાત્મકતાનો આધાર બનશે.

આ તકે શ્રી અદાણીએ સ્પષ્ટતા કરી કે તેમનો પ્રસ્તાવ રેટિંગ ધોરણોમાં કોઈ છૂટછાટ કે સરળતા માટે નથી. “અમને ઓછા ધોરણોની જરૂર નથી, પરંતુ વધુ વ્યાપક દૃષ્ટિકોણની જરૂર છે”. તેમણે એવા ગતિશીલ મૂલ્યાંકન મોડલ્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેઇકોસિસ્ટમ મલ્ટિપ્લાયર, સ્ટ્રેટેજિક રિઝિલિયન્સ અને સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સર્જાતા વધારાના મૂલ્યને ઓળખી શકે.

અદાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કેજો ભારત આ પ્રકારનું અદ્યતન ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવામાં આગેવાની લેશે તો તે માત્ર દેશ માટે નહીં, પરંતુ સમગ્ર ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક બની શકે છે.

અંતમાં અદાણીએ જણાવ્યું હતું કે ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન માત્ર નાણાકીય આંકડાઓ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ દેશના લાંબા ગાળાના વિકાસ, વ્યૂહાત્મક સક્ષમતા અને સમગ્ર અર્થતંત્ર પર તેની અસરને પણ પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ.તેમણે જણાવ્યું કે“નિર્માતા ભવિષ્યની કલ્પના કરે છે અને વિશ્લેષક તેની વાસ્તવિકતા ચકાસે છેબંને દૃષ્ટિકોણ સમાન રીતે જરૂરી છે” .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button