સુરત

સેવા સંકલ્પ અભિયાન: ઉનાઈથી વડનગર જતી કળશ યાત્રાનું માંડવી ખાતે ભવ્ય આગમન અને પ્રસ્થાન

ઉનાઈ માતાજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રા સુરત જિલ્લાના માંડવી ખાતે ભવ્ય સ્વાગત કરાયું

સુરત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રાનું સુરત જિલ્લાના માંડવી ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં ગત રાત્રીએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દેશની રક્ષા કરતા વીર જવાનો અને તેમના પરિવારોનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, તેમજ દેશ માટે શહાદત વહોરનાર તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના વીર સપૂત ઋતિક કુમાર અશોકભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉનાઈથી વડનગર સુધી જઈ રહેલી યાત્રાએ સેવા, સમર્પણ અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો એક પવિત્ર મહાયજ્ઞ છે.

વધુમાં કહ્યું કે, ‘આયુષ્માન ભારત’ યોજના થકી સરકારે દેશ અને રાજ્યના લાખો ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારજનોની સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે પહોચાડી છે. આજે આયુષ્માન કાર્ડના કવચને કારણે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નિશ્ચિંત બનીને ઉત્તમ અને મફત સારવાર મેળવી રહ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ શિક્ષણ, આરોગ્ય અને પોષણક્ષમ યોજનાઓએ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના નાગરિકોના જીવનમાં વ્યાપક અને સકારાત્મક બદલાવ લાવવાનું કામ કર્યું છે. આપણે સૌ સાથે મળીને કુપોષણમુક્ત અને સશક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ અને સેવાની આ જ્યોતને વધુ પ્રજ્વલિત રાખીએ એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પોતાના માસિક પગારમાંથી રૂ.એક લાખની રોકડ રકમ શહીદના માતા-પિતાને અર્પણ કરી દેશભક્તિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સિવાય સમાજને કુપોષણ મુક્ત અને સશક્ત બનાવવા માટે હાજર સૌ નાગરિકોએ પ્રતિજ્ઞા લીધી હતી અને મહાનુભાવોના હસ્તે કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ કરાયું હતું.

આજે તા.૧૪મી વહેલી સવારે માંડવી ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, ધારાસભ્યસર્વશ્રી ગણપતભાઈ વસાવા, કુંવરજીભાઈ હળપતિ સહિતના મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવા સંકલ્પ કળશમાં પવિત્ર તાપી મૈયાનું નીર અર્પણ કર્યું હતું. ત્યારબાદ બલેઠી જવા માટે બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ બાઈક રેલીમાં મહામંત્રીઓ રોહિતભાઈ પટેલ, જગદીશભાઈ પારેખ, અંકુરભાઈ દેસાઈ, પ્રદેશ યુવા મોરચાના હોદ્દેદારો, માંડવી નગર સંગઠન પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, આતિશભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, શાલીનભાઇ શાહ, કેયુરભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button