ગણેશ ચતુર્થીના પાવન પર્વનો મંગલ પ્રારંભ: અદાણી ગ્રુપના ડાયરેક્ટર પ્રણવ અદાણી અને કરણ અદાણીએ ‘ચિંચપોકલી ચા ચિંતામણી’ના દર્શન કર્યા

મુંબઈ: ગણેશ ચતુર્થીના પાવન પર્વોત્સવના આરંભે અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના ડિરેક્ટર તથા એગ્રો, ઓઇલ એન્ડ ગેસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ સહપરિવાર મુંબઈના પ્રસિદ્ધ ‘ચિંચપોકલી ચા ચિંતામણી’ ગણપતિના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
‘ચિંચપોકલી ચા ચિંતામણી’ના 107મા વર્ષમાં પ્રવેશના પાવન પ્રસંગે ગણનાયકના દર્શન કરવાની તકને ધન્ય ઘડી ગણાવતા શ્રી પ્રણવ અદાણીએ ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ સાથે જોડાવાને ગૌરવની લાગણી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ઉત્સવ ભક્તિ અને પરંપરાના સમૃદ્ધ વારસાની સાથે મુંબઈની એકતા અને સાંસ્કૃતિક ધબકારનું પ્રતીક છે.”
લોકમાન્ય બાળ ગંગાધર તિલકે 1890ના દાયકામાં ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું હતું. આ પરંપરાને એક સદીથી વધુ સમયથી આગળ ધપાવતું ‘ચિંચપોકલી ચા ચિંતામણી’ મુંબઈના ઐતિહાસિક ગણેશોત્સવોમાં આગવું સ્થાન ધરાવે છે. 1939થી ચિંચપોકલી રેલવે સ્ટેશનની પૂર્વ બાજુએ યોજાતો આ ઉત્સવ પરેલ, ગિરગાંવ અને લાલબાગ જેવા મુંબઈના ઐતિહાસિક મિલ વિસ્તારો સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
આ વર્ષે ઉત્સવમાં દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની ભવ્ય થીમ રજૂ કરવામાં આવી છે. ભગવાન વેંકટેશ્વર બાલાજીથી પ્રેરિત ગણેશમૂર્તિ સાથે ગરુડ, શંખ, ચક્ર, કીર્તિમુખ સહિતના પવિત્ર પ્રતીકો અને ભવ્ય ગોપુરમ, દીપસ્તંભ તથા ‘યાલી’ જેવી સ્થાપત્ય વિશેષતાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
ગણેશોત્સવ ઉપરાંત મંડળ રક્તદાન શિબિરો, આરોગ્યસંભાળ અને બાળકો માટેના કાર્યક્રમો દ્વારા સમાજસેવાનું કાર્ય પણ સતત આગળ ધપાવી રહ્યું છે. કોવિડ-19 દરમિયાન પણ મંડળે તબીબી સહાય, તપાસ શિબિરો અને રક્તદાન અભિયાન જેવી સેવાઓ દ્વારા સામાજિક જવાબદારી નિભાવી હતી



