ધર્મ દર્શન

વેરની ગાંઠ છોડીને ક્ષમાના માર્ગે આગળ વધવાનો અવસર : સંવત્સરી મહાપર્વની આવતીકાલે ભાવભીની આરાધના

સુરતના ૮૫થી વધુ જૈન સંઘોમાં સંવત્સરીના દિવસે વિશેષ પ્રતિક્રમણ, ક્ષમાપના અને મિચ્છામી દુક્કડમની આરાધના

સુરત : જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આરાધના, તપ, ત્યાગ, સંયમ અને જીવદયાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પર્યુષણ પર્વનો આઠમો અને અંતિમ દિવસ સંવત્સરી મહાપર્વ તરીકે ઉજવાય છે. આ દિવસ જૈન સમાજ માટે આત્મશુદ્ધિ, પ્રાયશ્ચિત, ક્ષમાપના અને પરસ્પર મૈત્રીભાવના માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ અંગે શ્રાવક અજિતભાઈ મહેતાએ જણાવ્યું કે સંવત્સરીના દિવસે જીવન દરમિયાન મન, વચન કે કાયાથી કોઈપણ જીવ પ્રત્યે વેરભાવ, મનદુઃખ, અપમાન કે અણબનાવ થયો હોય તો તેનું પ્રાયશ્ચિત કરી હૃદયપૂર્વક ક્ષમા માગવામાં આવે છે. એકબીજા પ્રત્યેના તમામ વેરભાવ અને કડવાશ ભૂલીને હાથ જોડીને નમ્રતાપૂર્વક ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવી ક્ષમાયાચના કરવાની પરંપરા છે.
આ દિવસનું સાંજનું પ્રતિક્રમણ વિશેષ મહત્વ ધરાવે છે. પ્રતિક્રમણ દરમિયાન આરાધકો સર્વ જીવોને ક્ષમા યાચી, ભૂતકાળના મનદુઃખો અને અણબનાવો ભૂલીને પરસ્પર મૈત્રીનો હાથ લંબાવે છે. ક્ષમાનું આદાન-પ્રદાન જ સંવત્સરી મહાપર્વનું મુખ્ય અંગ માનવામાં આવે છે.

સંવત્સરી નિમિત્તે શહેરના વિવિધ ઉપાશ્રયો અને દેરાસરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે વ્યાખ્યાન, બારસાસૂત્રનું વાંચન તથા દર્શન સહિતની આરાધના કરવામાં આવશે. દેરાસરોમાં પ્રભુજીની ભવ્ય અંગરચના કરવામાં આવશે. સમગ્ર સુરત શહેરના ૮૫થી વધુ જૈન સંઘોના ઉપાશ્રયોમાં સાંજના પ્રતિક્રમણ માટે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉમટી પડશે.

પર્યુષણ દરમિયાન કરવામાં આવેલા વિવિધ તપના પારણાં પણ વિશેષ ધાર્મિક ભાવના સાથે કરવામાં આવે છે. પર્યુષણ બાદ આવતો પાંચમો દિવસ ‘પારણા પાંચમ’ તરીકે ઓળખાય છે, જેમાં વિવિધ તપના પારણાં કરવામાં આવશે.

સંવત્સરી મહાપર્વ માત્ર ક્ષમા માગવાનો દિવસ નથી, પરંતુ પોતાના અંતરમનમાં રહેલા વેર, અહંકાર અને કડવાશને દૂર કરી જીવનમાં પ્રેમ, મૈત્રી અને ક્ષમાની ભાવના કેળવવાનો પવિત્ર અવસર છે. આવતીકાલે દરેક શ્રાવક-શ્રાવિકાએ ભૂતકાળના તમામ મનદુઃખો ભૂલી પરસ્પર ક્ષમાભાવ સાથે ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવી આત્મશુદ્ધિ તરફ આગળ વધવું જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button