ગુજરાતસુરત

સુરત જિલ્લામાં વરસાદી કહેર: 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, ઓલપાડ-માંડવીમાં SDRF તૈનાત

સુરત: જિલ્લામાં સતત ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે, અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 4 હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કીમ નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને ઓલપાડ અને માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી સતત ચાલુ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 222 મીમી (આશરે 8 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાં મહુવા તાલુકામાં સૌથી વધુ 565 મીમી (આશરે 22.5 ઇંચ) વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ 5થી 6 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

કલેક્ટરે જણાવ્યું કે, રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી જ SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી હતી, જ્યારે આજે સવારે ઓલપાડ ખાતે પણ SDRFની વધારાની ટીમ મોકલવામાં આવી છે. SDM, TDO, SDRF અને પોલીસ સહિતની તમામ ટીમો સતત મેદાનમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

કીમ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી કાંઠા વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો કોઈપણ વિલંબ કર્યા વગર સ્થળાંતર કરે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, સુરત શહેરની મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીથી નીચે વહે રહી છે અને તાપી નદીમાં સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે. જોકે, ઉકાઈ ડેમમાં હાલ પાણીનો જથ્થો સુરક્ષિત મર્યાદામાં હોવાનું જણાવાયું છે.

જિલ્લા વહીવટી તંત્રે તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, અફવાઓથી દૂર રહે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button