બિઝનેસસુરત

સફળ થવા વ્યકિતએ રોજિંદા જીવનમાં જે ફરજ બજાવવાની છે તેમાં દસ ટકા વધારે કર્મ કરવાની જરૂરિયાત છે : ગોવિંદભાઇ ધોળકિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ થી તા. ૧૦ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ દરમ્યાન સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે વિશિષ્ટ કાર્યક્રમ ‘ભગવદ્દ ગીતા – મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા – ગીતા પંચામૃત’શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયાએ ‘ગીતા – સફળતાની સીડી’વિષે વકતવ્ય રજૂ કરી ગીતાના વિવિધ શ્લોકોમાં અપાયેલા સાર થકી જીવન તથા વ્યવસાયમાં સફળતા મેળવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સફળતા વિષે આપણે ઘણું બધું સાંભળ્યું છે અને ઘણું બધું વાંચ્યું છે. નક્કર આયોજન, આત્મવિશ્વાસ, પૂર્વાવલોકન, આગોતરી ગોઠવણ જેવા ઘણા બધા પાસાઓ આપણને સફળતા તરફ દોરી જવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ કોઈક તબક્કો એવો આવે છે કે આ બધું જ ખૂબ જ સારી રીતે મેનેજ કર્યા બાદ પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પૂરેપૂરા પ્લાનિંગ બાદ પણ સફળતા માટે કશુંક ખૂટતું લાગે છે. આ જે ઊણપ છે તે ગીતા પૂરી કરી આપે છે.

સફળતા માટે એવું પણ કહી શકાય કે જેને આકાશ આંબવું છે તેને એકધારી ગતિ માફક જ નહીં આવે. તે તો હરહંમેશ નિતનવા આયામો હાથ ધરશે અને તેને પૂરા કરવા એડીચોટીનું જોર લગાવશે. અને જ્યાં નવું સાહસ હશે ત્યાં થોડી ઘણી તકલીફો તો આવશે જ. એટલે એમ કહી શકાય કે તકલીફો તમને સફળતાની નવી ક્ષિતિજ સાથે ઓળખાણ કરાવી આપે છે.

ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ સીએ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, આપણે નોંધવું જોઇએ કે ડો. અલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા સમાન સિદ્ધાંતની જાહેરાત થઇ તેની વાત સદીઓ પહેલાં ગીતામાં જણાવવામાં આવી છે. ગીતાના અધ્યાય ૭, શ્લોક ૪ ‘સમૂહ અને ઊર્જા સંબંધો’ પર પ્રકાશ પાડે છે. રોબર્ટ ઓપેનહાઇમરે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ‘Little Boy’ નામનો જબરજસ્ત વિનાશક ક્ષમતાનો અણુબોમ્બ બનાવ્યો છે. જર્મનીના વિદ્વાન એફ.ટી. બુકર્સ તો ગીતાને ભવિષ્યમાં વિશ્વધર્મના એકમાત્ર ધર્મગં્રથ તરીકે પસંદ કરે છે.

આખું વિશ્વ જ્યારે ગીતાને જ્ઞાનના ગ્રંથ તરીકે બિરદાવતું હોય ત્યારે સુરતના શહેરીજનો જ્ઞાનથી વંચિત ન રહી જાય તે માટે ગીતા પંચામૃતનું આયોજન કરાયું હતું. સુરતમાં પણ એક ઇન્સ્ટીટયુટ ભગવદ્‌ ગીતાના અભ્યાસ માટે બનવી જોઇએ અને ભગવદ્‌ ગીતાના જ્ઞાનના આધારે સાયન્ટીફિક રિસર્ચ ઇન્સ્ટીટયુટ બનાવવામાં આવે તો ભારતના વિજ્ઞાનીઓને પણ વૈશ્વિક ફલક પર સ્થાન મળશે.

ગોવિંદભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભકિતયોગ વિષે જણાવવામાં આવ્યું છે. વ્યકિત દરેક ક્ષણે કર્મ તો કરતી જ હોય છે, પરંતુ એ કોઇ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરે એને કર્મયોગ કહેવાય છે. જ્ઞાનયોગથી વિવેક આવે છે અને ભકિતયોગથી સમર્પણની ભાવના જન્મે છે. તેમણે કહયું કે, સફળ થવા માટે વ્યકિતએ રોજિંદા જીવનમાં જે ફરજ બજાવવાની છે તેમાં દસ ટકા વધારે કર્મ કરવાની જરૂરિયાત છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રારબ્ધ એટલે પુરુષાર્થ કરવાનું છે, આથી પ્રારબ્ધથી પ્રાપ્ત સુધીમાં વ્યકિતએ સંતુષ્ટ રહેવાનું છે. એની સાથે સાથે ઇર્ષ્યા રહીત જીવન જીવવાનું છે. સફળ થવા માટે વ્યકિતએ પોતે આત્મ વિશ્વાસ તો કેળવવાનો જ છે પણ આખી સૃષ્ટિનું સંચાલન કરનારા ભગવાન પર પણ દૃષ્ટિ વિશ્વાસ જરૂરી છે. વ્યકિત સફળ થવા માટે કર્મ કરે છે અને એ કર્મ કરવાને કારણે જ તેનું ભાગ્ય પણ બદલાય છે. ભાગ્ય બદલવાનું વ્યકિતના હાથમાં હોતું નથી પણ સારા કર્મ કરનારાનું ભાગ્ય જરૂર બદલાઇ જાય છે એવા ઘણા દાખલા છે.

તેમણે કહયું કે, જીવનમાં તથા વ્યવસાયમાં સફળ થવા માટે વ્યકિતએ સ્વભાવમાં સ્વીકાર ભાવ લાવવો જરૂરી છે. વ્યકિત જે પરિસ્થિતિમાં હોય છે તેને એણે સ્વીકારીને આગળ વધવાનું હોય છે. પરિસ્થિતિનો સ્વીકાર કરીને વ્યકિત જ્યારે માત્ર કર્મ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેનું ભવિષ્ય અન્યો કરતા કંઇક અલગ અને ઉજ્જ્વળ હોય છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા તથા ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના માનદ્‌ મંત્રી વિપુલ જરીવાલા, માનદ્‌ ખજાનચી પ્રદ્યુમન જરીવાલા, જોઇન્ટ સેક્રેટરી ભાવેશ ઓઝા અને મહિલા સંયોજિકા રંજના પટેલ કાર્યક્રમમાં હાજર રહયાં હતાં. ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંજય પંજાબીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ પ્રાસંગિક વિધી કરી હતી. ગોવિંદભાઇ ધોળકીયાએ શ્રોતાઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા. ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના ઉપ પ્રમુખ પ્રતિમા સોનીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button