સમગ્ર સુરત જિલ્લામાં ત્રણ દિવસ માટે આદર-સન્માનથી તિરંગા લહેરાશે
જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને 'હર ઘર તિરંગા' કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ
સુરત:શુક્રવાર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી માં ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમના આયોજન અર્થે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમનું આયોજન તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવનાર છે. લોકોમાં તિરંગા પ્રત્યે આદરભાવ વધારવા તેમજ રાષ્ટ્રભક્તિની એક નવી મિશાલ ઉભી કરવા દરેક ઘર ઉપર તિરંગો લહેરાય તે જરૂરી છે.
સુરત જિલ્લામાં પણ આનંદ-ઉત્સાહ સાથે સ્વતંત્રતા પર્વની સાથે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ ત્રણ દિવસ જિલ્લાના ઘરે ઘર પર દેશભાવના, રાષ્ટ્રીય એકતા અને ઉન્નતિના પ્રતિક રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો. પ્રત્યેક નાગરિકો પોતાના ઘર પર તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવના પ્રબળ બનાવે એવો ભારપૂર્વક અનુરોધ તેમણે કર્યો હતો.
સુરત જિલ્લાના ૭૫ અમૃત્ત તળાવો પર સ્વાતંત્ર્ય પર્વ દિને ગ્રામજનોના સહયોગથી ધ્વજવંદન કરાશે, અમૃત્ત તળાવો પર વન વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી અમૃત વન ઉછેર કરવા માટે ગ્રામજનો પ્રયાસ કરશે એમ જણાવી કલેકટરએ ઉમેર્યું કે, ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ ખાદી ગ્રામોદ્યોગ દ્વારા તૈયાર થયેલો રાષ્ટ્રધ્વજ ઉપયોગમાં લેવાય તે ઈચ્છનીય છે. સતત ત્રણ દિવસ તિરંગો લહેરાય તેની તકેદારી લેવા તેમણે જણાવ્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ જરૂરી તમામ વ્યવસ્થાઓ સુગમ બને તેવું આયોજન કરવા જણાવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજનું સન્માન અને આદર જળવાઈ રહે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચન કર્યું હતું.
સુરત જિલ્લાના પ્રત્યેક ઘર, વ્યવસાયિક દુકાનો,સંસ્થાઓ, સરકારી કચેરીઓ, શાળા-કોલેજો, સહકારી મંડળીઓ, બજારો, GIDCના યુનિટો, હીરા અને કાપડ બજાર, ઔદ્યોગિક એસોસિએશન, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત તમામ જાહેર સ્થળોએ સન્માન સાથે તિરંગો લહેરાશે એમ જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ જણાવ્યું હતું.