ધી રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ દ્વારા 600 વાલીઓ માટે વિશેષ પેરેન્ટિંગ સેશન યોજાયું, નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

સુરત: આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વાલીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી સુરતની ધી રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ (CBSE), નરથાણ દ્વારા તા. 20 જૂન, 2026ના રોજ અડાજણ સ્થિત પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ઓડિટોરિયમ ખાતે 600 જેટલા વાલીઓ માટે વિશેષ પેરેન્ટિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ બે અલગ-અલગ સેશનમાં યોજાયો હતો. પ્રથમ સેશન સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. હિમાદ્રી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં સાંજે 4:00 થી 6:00 વાગ્યા દરમિયાન જાણીતા પેરેન્ટિંગ માર્ગદર્શક ડી’સુઝા સરએ વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સેશન દરમિયાન વાલીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રાસંગિક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બાળકને ગુસ્સા વગર સમજવાની રીતો, બાળકમાં ગુસ્સો, જીદ અને મોબાઇલના વ્યસનને ઘટાડવાના ઉપાયો, વાલીઓ દ્વારા થતી સામાન્ય ભૂલો, આદર્શ માતા-પિતા બનવાના માર્ગ, બાળકના ઉછેરમાં રહેલી કચાશો, બાળકને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવાના ઉપાયો, વાલીઓની નુકસાનકારક આદતો તેમજ બાળકની સફળતા માટેના મહત્વપૂર્ણ નિયમો જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયાએ જણાવ્યું હતું કે ધી રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ ગુજરાતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે, જે મજબૂત ભારતીય સંસ્કારો સાથે જાપાનીઝ શિક્ષણ પદ્ધતિનો સમન્વય કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. શાળા માને છે કે જવાબદાર અને સજાગ વૈશ્વિક નાગરિકોના ઘડતરમાં વાલીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવદ્ ગીતાના મૂલ્યો અને કાઈઝેન (Kaizen) ફિલોસોફી પર આધારિત શૈક્ષણિક અભિગમ દ્વારા શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓને પણ સજ્જ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. આજના ડિજિટલ યુગમાં બાળકોના ભાવનાત્મક વિકાસ, આત્મનિર્ભરતા અને શૈક્ષણિક પ્રગતિ વચ્ચે સંતુલન જાળવવું સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત વાલીઓએ શાળાના આ અનોખા અને માર્ગદર્શક પ્રયાસની પ્રશંસા કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે આ સેશન તેમના માટે અત્યંત ઉપયોગી સાબિત થયું છે અને બાળકના ઉછેર અંગે નવી સમજણ પ્રદાન કરી છે. તમામ વાલીઓએ શાળા મેનેજમેન્ટ તથા બંને મુખ્ય વક્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



