ગુજરાત

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાજપનો કાર્યક્રમ પ્લાન જાહેર: 10 ઓગસ્ટે ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, 11થી 13 ઓગસ્ટે રાજ્યભરમાં આયોજન

ગાંધીનગર: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપાએ હર ઘર તિરંગા અભિયાન, તિરંગા યાત્રા અને 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસના કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિવિધ કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2022માં શરૂ થયેલું ‘હર ઘર તિરંગા’ અભિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર, ગૌરવ અને આત્મીયતા મજબૂત કરવાનું અભિયાન છે. તેમણે જણાવ્યું કે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન ‘હું ભારતીય છું’ તેવા સ્વાભિમાનની અભિવ્યક્તિ છે અને દેશ આજે રાષ્ટ્રપ્રથમના સંકલ્પ સાથે વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે.

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું કે 10 ઓગસ્ટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. ત્યારબાદ 11, 12 અને 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં મંડલ સ્તરે જનભાગીદારી સાથે તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. તેમાં પૂર્વ સૈનિકો, શહીદોના પરિવારજનો, યુવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓને જોડવામાં આવશે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ પોતાના પરિવાર સાથે નિવાસસ્થાને તિરંગો ફરકાવશે. ઉપરાંત 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે દેશના વિભાજન દરમિયાન ભોગવાયેલી પીડા અને યાતનાને યાદ કરતા જિલ્લા અને મહાનગર સ્તરે વિશેષ કાર્યક્રમો યોજાશે.

બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધ દવે, ડૉ. પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખો, પ્રભારીઓ અને અભિયાન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button