તિરંગાના રંગમા રંગાયું સુરત: ‘Y’ જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
બે કિલોમીટરની તિરંગા યાત્રામાં ઉમટ્યો દેશભક્તિનો જુવાળ

સુરત: ‘હર ઘર તિરંગા અભિયાન’ અને ‘વંદે માતરમ’ની રચનાને ૧૫૦ વર્ષની પૂર્ણતાના અવસરે સુરતમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. વેસુના વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રામાં હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સહિત મહાનુભાવોએ ભવ્ય તિરંગા યાત્રાને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ના ગાનની સાથોસાથ તિરંગાયાત્રાની શરૂઆત સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદથી કરવામાં આવ્યો હતો. યાત્રામાં મંત્રીગણ અને મહાનુભાવો શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.

વરસાદના અમીછાંટણા વચ્ચે આયોજિત તિરંગા યાત્રામાં ફાયરના જવાનો ૬૦૦ મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે સામેલ થયા હતા, જેનાથી આ યાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો. યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક ગ્રૂપો, વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા.
આ તિરંગા યાત્રામાં પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રી અને ટીમ દ્વારા દેશભક્તિના ગીતસંગીતની સુમધુર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.
પોલીસ બાઇક પ્લાટુન, ફાયર બાઈક પ્લાટુન, બેલેન્સિંગ બાઈક, માઉન્ટેન હોર્સ પ્લાટુન, મહિલા પોલીસ બેન્ડ પ્લાટુન, બ્લેક કેટ કમાન્ડો, શાળાઓના બેન્ડ, હોમગાર્ડ, એનસીસી કેડેટ્સના કરતબો ઉપસ્થિત સૌએ માણ્યા હતા.
આ યાત્રામાં શાળા-કોલેજો-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, યુવાનો, પોલીસ જવાનો, સામાજિક સંસ્થાઓ, યુવામંડળો, ઉદ્યોગકારો, વેપારીઓ, ઈન્ડસ્ટ્રીઝ પ્રતિનિધિઓ, GIDC, ડાયમંડ, સી.એ., કાપડ ઉદ્યોગ સહિતના વિવિધ એસોસિએશનો, ધાર્મિક સંસ્થાઓ, રમતવીરો, યુવા-મહિલાશક્તિની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
તિરંગા યાત્રામાં સાંસદ મુકેશભાઈ દલાલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી, મેયર માયાબેન માવાણી, સંગઠન મહામંત્રી પ્રશાંત કોરાટ, ધારાસભ્યઓ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીર, પદાધિકારી-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



