સુરત

PP Savani Group નો અનોખો સંકલ્પ: મોદીજીના દીર્ઘ આયુષ્ય માટે 4400 વૃક્ષો અને 4400 લોકોનો ‘ૐ નમઃ શિવાય’ જાપ

PP Savani Group ના ત્રિવિધ મહોત્સવમાં શિક્ષણ, સંસ્કાર, પર્યાવરણ અને રાષ્ટ્રપ્રાર્થનાનો અનોખો સંગમ

સુરત : પી.પી. સવાણી ગ્રુપ અને પ્રબુદ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય ત્રિવિધ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર, આધ્યાત્મિકતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સુરત શહેરના વિવિધ વિધાનસભા વિસ્તારોના ધારાસભ્યો, ભાજપ મહિલા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અંજુબેન વેકરિયા, ઉદ્યોગજગતના અગ્રણીઓ તથા સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાના અવિરત કાર્ય માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ અવસરે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા 4400 વૃક્ષો વાવવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલ પર્યાવરણ સંરક્ષણ અને ભાવિ પેઢીને હરિયાળું ભારત આપવાના સંદેશ સાથે જોડાયેલી છે.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ 4400થી વધુ લોકો દ્વારા એકસાથે કરવામાં આવેલ “ૐ નમઃ શિવાય” મહામંત્રનો જાપ રહ્યો હતો. ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રકલ્યાણ, વિશ્વશાંતિ અને વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિ, આધ્યાત્મિકતા અને સકારાત્મક ઊર્જાથી ગુંજી ઉઠ્યું હતું.

ત્રિવિધ કાર્યક્રમના ભાગરૂપે પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક વક્તા પૂજ્ય રસરાજજી મહારાજે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે ભગવાન શ્રી હનુમાનજીના જીવનપ્રસંગોના ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, મનોબળ, સંકલ્પશક્તિ, ગુરુભક્તિ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોનું સિંચન કર્યું હતું.

રસરાજજી મહારાજે જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માત્ર બુદ્ધિથી નહીં, પરંતુ સંસ્કાર, ચારિત્ર્ય અને આત્મબળથી પ્રાપ્ત થાય છે. તેમના પ્રેરણાદાયી વક્તવ્યથી વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને સકારાત્મકતા જોવા મળી હતી.

આ પ્રસંગે વલ્લભભાઈ પી. સવાણીએ જણાવ્યું હતું કે પી.પી. સવાણી ગ્રુપ માત્ર શિક્ષણ આપતી સંસ્થા નથી, પરંતુ સંસ્કાર, સેવા, રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક મૂલ્યો સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત એક વિશાળ પરિવાર છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા, સંસ્કાર, શિક્ષણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોનું જીવંત પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ અનોખી પહેલને બિરદાવી હતી.

4400 દિવસના સુશાસનની પ્રેરણાથી 4400 વૃક્ષોનો સંકલ્પ અને 4400 લોકો દ્વારા સામૂહિક “ૐ નમઃ શિવાય” જાપ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું, જે સમાજમાં આધ્યાત્મિકતા, પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્રસમર્પણનો સશક્ત સંદેશ આપી ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button