14 ઓગસ્ટે સુરતમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી, ગોપી માર્કેટથી નીકળશે મૌન રેલી

સુરત: 14 ઓગસ્ટ, શુક્રવારે સુરતમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય સુરત સિંધિ પંચાયત, સુરત સિંધિ ક્લોથ એસોસિએશન અને ભારતીય સિંધુ સભા મહાનગરના સંયુક્ત ઉપક્રમે યોજાનારા કાર્યક્રમોમાં 1947ના ભારતના વિભાજન દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની પીડાને યાદ કરવામાં આવશે.
સવારે 10:30 વાગ્યે સ્મૃતિ કાર્યક્રમ
સવારે 10:30 વાગ્યે પૂજ્ય સુરત સિંધિ પંચાયત ભવન ખાતે સ્મૃતિ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં 1947ના વિભાજન દરમિયાન સિંધ સહિતના વિવિધ વિસ્તારોમાંથી ભારત આવેલા વિસ્થાપિતોની સંઘર્ષમય યાદોને સ્મરણ કરવામાં આવશે.
આયોજકોના જણાવ્યા મુજબ, વિભાજન સમયે અનેક સિંધિ પરિવારોને પોતાનું ઘર, જમીન અને સંપત્તિ છોડીને ભારત આવવું પડ્યું હતું. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. કાર્યક્રમ દ્વારા નવી પેઢીને વિભાજનની પીડાદાયક ઘટનાઓથી અવગત કરાવવા સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવશે.
સાંજે 5 વાગ્યે ગોપી માર્કેટથી મૌન રેલી
સાંજે 5 વાગ્યે ગોપી માર્કેટથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી ગોપી માર્કેટથી શરૂ થઈને સલાસર ગેટ, જે.જે. માર્કેટ, એસટીએમ, મિલેનિયમ માર્કેટ, યુટીએમ, મહાલક્ષ્મી માર્કેટ અને આદર્શ સહિતના વિવિધ બજાર વિસ્તારોમાંથી પસાર થઈ ફરી ગોપી માર્કેટ ખાતે પહોંચશે.
મૌન રેલી દરમિયાન વિભાજન સમયે જીવ ગુમાવનાર અને વિસ્થાપિત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે જ વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારતના વિભાજનની ઐતિહાસિક પીડા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
સિંધિ સમાજના આગેવાનો તૈયારીઓમાં વ્યસ્ત
કાર્યક્રમની તૈયારીઓને લઈને મંગળવારે, 11 ઓગસ્ટે સુરત સિંધિ ક્લોથ એસોસિએશનની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા અને તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સુરત સિંધિ ક્લોથ એસોસિએશનના પ્રમુખ હરીશ લાલવાણી, મહેશ સારંગ, ચંદુભાઈ કોટક, મદન મૂળચંદાણી, પૂજ્ય સુરત સિંધિ પંચાયતના વાસુદેવ ગોપલાણી, ઘનશ્યામ ખટ્ટર, નાનકરામજી તથા ભારતીય સિંધુ સભાના ભગવાનદાસજી, પ્રતાપ ગોપલાણી સહિતના આગેવાનો અને કાર્યકરો કાર્યક્રમની તૈયારીઓમાં જોડાયા છે.
આયોજકોએ સિંધિ સમાજ સહિત શહેરના નાગરિકોને સ્મૃતિ કાર્યક્રમ અને મૌન રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ વિભાજન વિભીષિકાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા તથા રાષ્ટ્રીય એકતા અને અખંડ ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું છે.



