સુરત સિવિલ હોસ્પિટલમાં કામગીરીમાં ઉદાસીનતા ચલાવી લેવામાં આવશે નહીં : પ્રફુલભાઈ પાનશેરિયા

સુરત: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની આજે સરપ્રાઈઝ વિઝિટ કરી હોસ્પિટલની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓને પડતી અસુવિધાઓ, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓ અંગે સિવિલ તંત્રવાહકોને વિશેષ ધ્યાન દોર્યું હતું.
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના વોર્ડ, બાથરૂમ તેમજ સામાન્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને કડક સૂચનાઓ આપી હતી. હોસ્પિટલના કેટલાક ભાગોમાં ઉખડી ગયેલી ટાઇલ્સ, એન્જીયોગ્રાફી મશીન અને કેટલાક એ.સી. ન ચાલતા હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક રિપેરીંગ હાથ ધરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.
મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, આરએમઓ તથા પી.ડબલ્યુ.ડી. વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીમાં બેદરકારી સ્વચ્છતા, તબીબો અને નર્સિંગ સ્ટાફની સુરક્ષા અને દર્દીઓ પ્રત્યે નિષ્કાળજીભર્યું વર્તન ચલાવી લવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીઓને ઉત્તમ અને સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવી તંત્રની પ્રથમ જવાબદારી છે. ખાસ કરીને હોસ્પિટલમાં એર કન્ડિશનિંગ સંબંધિત સમસ્યાઓ તેમજ પી.એમ. રૂમ ખાતે જોવા મળતી અસુવિધાઓ અંગે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય મંત્રી પાનશેરિયાએ ઓપીડી તેમજ વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી તેમણે જલ્દી સ્વસ્થ થવા માટે હિંમત અને સકારાત્મકતા જાળવવાની પ્રેરણા આપી હતી. અનેક દર્દીઓએ પણ આરોગ્ય મંત્રીની આ આત્મીય મુલાકાતને લઈને લાગણી વ્યક્ત કરી હતી.
પ્રફુલભાઈ પાનશેરિયાએ પોતાની સ્પષ્ટ કાર્યશૈલી અનુસાર અધિકારીઓને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કામગીરીમાં ઉદાસીનતા ચલાવી લેવામાં આવશે નહીં અને જરૂરી હોય તો અન્યત્ર ફરજ સોંપવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને દર્દીકેન્દ્રિત બને તે માટે આગામી સમયમાં પણ અચાનક ચેકિંગ અને સમીક્ષા કરાશે. આ દરમિયાન તેમણે નજીકમાં આવેલી લાયન્સ કેન્સર હોસ્પિટલમાંની પણ મુલાકાત લઈ અહીંની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ચીફ આરએમઓ ડો.કેતન નાયક Nayak, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા તેમજ વિવિધ વિભાગોના એચઓડી ઉપસ્થિત રહ્યા હતા.



