સુરત શહેર પોલીસ દ્વારા નવનિયુક્ત સાગર રક્ષક દળના જવાનોને નિમણૂંકપત્ર એનાયત અને સંવાદ કાર્યક્રમ યોજાયો
પોલીસ હેડક્વાર્ટર ખાતે ૫૦ નવનિયુક્ત સાગર રક્ષક દળના જવાનોને તાલીમ માર્ગદર્શન

સુરતઃ સુરત શહેર પોલીસ દ્વારા નવનિયુક્ત સાગર રક્ષક દળ (SRD)ના જવાનો માટે પોલીસ કમિશનર વાબાંગ જમીરના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦ સાગર રક્ષક દળના જવાનોને નિમણૂંકપત્રો એનાયત કરી તેમની કાર્ય પદ્ધતિ વિશેની સમજ અને માર્ગદર્શન અપાયું હતું.
નવનિયુક્ત જવાનોને અભિનંદન આપતા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયાએ જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો છે. આ દરિયાઈ વિસ્તારોની સુરક્ષા માત્ર દેશની સલામતી માટે જ નહીં, પરંતુ દેશની આર્થિક સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ જરૂરી છે.
દરિયાકાંઠાના સ્થાનિક લોકોને આ દળમાં સામેલ કરવાના સરકારના નિર્ણયને બિરદાવતા તેમણે કહ્યું કે, સ્થાનિક નિવાસીઓ દરિયાની પરિસ્થિતિ અને ભૌગોલિક વાતાવરણથી સુપરિચિત હોય છે, જેથી તેઓ દેશના સીમા પ્રહરી તરીકે ‘ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ’ની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શકે છે.
તેમણે જવાનોને તેમની ગંભીર જવાબદારીનો અહેસાસ કરાવતા કહ્યું કે, સાગર રક્ષક દળની ભૂમિકાને નાની ન ગણવી જોઈએ. રાષ્ટ્રવિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ઘણીવાર દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવાનો પ્રયાસ થતો હોય છે, તેથી દરિયાઈ સરહદો પર તેમની સતત નજર અને સતર્કતા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
નાયબ પોલીસ કમિશનર શેફાલી બરવાલે જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર દ્વારા સાગર રક્ષક દળ માટે ૫૦ બેઠકોની મંજૂરી અપાઈ હતી. તેની નિમણૂક પ્રક્રિયા જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ કર્યા બાદ ક્વોલિફાય થયેલા જવાનોને હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ અપાઈ હતી, જેમાં તેઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સી-રેગ્યુલેશન તેમજ આપત્તિના સમયમાં અસરગ્રસ્ત લોકોના બચાવની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે અધિક પોલીસ કમિશનર(સેક્ટર-૧) બલરામ મીણા, અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.કરણરાજ વાઘેલા, અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) સજ્જનસિંહ પરમાર, પોલીસ અધિકારી-કર્મચારીઓ સહિત નવનિયુક્ત સાગર રક્ષક દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.



