સુરત

સુરતના ઉધનામાં મચ્છરજન્ય રોગચાળા સામે મનપાની કડક કાર્યવાહી, 2.35 લાખ ઘરોનો સર્વે

સુરત શહેરમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સુરત મહાનગરપાલિકાના વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાઉથ ઝોન-એ (ઉધના) વિસ્તારમાં 1 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન મનપાની ટીમોએ મોટા પાયે સર્વેલન્સ અને સોર્સ રિડક્શન કામગીરી કરી હતી.

આ સમયગાળા દરમિયાન કુલ 2,35,248 ઘરો અને 7,56,409 જેટલા સ્પોટનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન મચ્છરના 4,224 બ્રિડિંગનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય રક્ષણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને કુલ 1,533 નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ.12,100નો વહીવટી ખર્ચ વસૂલાયો હતો.

બાંધકામના સ્થળો અને પેરીડોમેસ્ટિક વિસ્તારોમાં પણ મનપાની ટીમોએ કડક કાર્યવાહી કરી હતી. કુલ 71 બાંધકામ સ્થળોના સર્વે દરમિયાન 33,008 સ્પોટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 985 મચ્છર બ્રિડિંગ મળી આવતા દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળી આવેલા સ્થળોના સંચાલકોને 215 નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ.5.47 લાખનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1,687 જેટલા નકામા ટાયર, ડબ્બા, ભંગાર સહિતનો કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો.

મનપાએ 1,322 ખુલ્લા પ્લોટનું પણ સર્વેક્ષણ કર્યું હતું. તેમાંથી 83 પ્લોટમાં પાણી ભરાયેલું મળી આવ્યું હતું અને પ્લોટ ધારકોને નોટિસ આપી રૂ.79 હજારનો વહીવટી ખર્ચ વસૂલાયો હતો.

આ ઉપરાંત 92 સરકારી-ખાનગી શાળાઓ, 2 કોલેજો અને 24 ટ્યુશન ક્લાસ સહિત કુલ 122 શૈક્ષણિક સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. 10 સ્થળોએ ખામી મળી આવતા બ્રિડિંગનો નાશ કરાયો અને નકામા ભંગારનો નિકાલ કરવામાં આવ્યો હતો. મનપાએ લોકોને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો દૂર કરવા અને કર્મચારીઓને સહકાર આપવા અપીલ કરી છે. નિયમોનું પાલન નહીં થાય તો વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button