સુરત

સ્વાતંત્ર્ય પર્વે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ: બાળકોની નિષ્ણાત તબીબોએ તપાસ કરી, જરૂરિયાતમંદ બાળકોની સર્જરી પણ વિનામૂલ્યે થશે

સુરત: સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને નિષ્ણાત તબીબોની આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મહંત હેમંતદાસ ફાઉન્ડેશન અને બીજેડીસી ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે 15 ઓગસ્ટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને પરામર્શ કેમ્પ યોજાયો હતો. VIP રોડ સ્થિત સાઈ આશિષ ટ્રેડ સેન્ટરના સનસ્ટાર રોબોટિક ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પ દરમિયાન બાળકોના હાડકાં, સાંધા, કરોડરજ્જુ, ચેતાતંત્ર અને મગજને લગતી વિવિધ સમસ્યાઓની તપાસ કરવામાં આવી હતી. લાંબા સમયથી આરોગ્યલક્ષી સમસ્યાઓથી પીડાતા પરંતુ આર્થિક કારણોસર નિષ્ણાત સારવાર મેળવી ન શકતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

હાડકાં અને સાંધાની સમસ્યાઓની તપાસ

પીડિયાટ્રિક ઓર્થોપેડિક નિષ્ણાત ડૉ. રમેશ પટેલ દ્વારા બાળકોના હાડકાં અને સાંધાને લગતી સમસ્યાઓની તપાસ કરવામાં આવી હતી. ક્લબ ફૂટ, સેરેબ્રલ પાલ્સી સહિતની વિવિધ ઓર્થોપેડિક સમસ્યાઓ અંગે વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન જે બાળકોને આગળની સારવાર અથવા સર્જરીની જરૂરિયાત જણાઈ હતી, તે પૈકી પસંદગી કરાયેલા જરૂરિયાતમંદ બાળકોની સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે, તેવી માહિતી આપવામાં આવી હતી.

ન્યુરો અને સ્પાઇનની સમસ્યાઓ માટે પણ પરામર્શ

કેમ્પમાં ન્યુરોસર્જન અને સ્પાઇન સર્જન ડૉ. ધવલ પટેલ પણ બાળકો તથા અન્ય દર્દીઓની તપાસ કરી હતી. તેમણે મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્રને લગતી સમસ્યાઓ અંગે તબીબી સલાહ આપી હતી. દર્દીઓની સમસ્યાઓને સમજી જરૂરી તપાસ, સારવાર અને આગળની તબીબી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જરૂરિયાતમંદોની સેવા એ જ ઈશ્વરની સેવા

મહંત હેમંતદાસ ફાઉન્ડેશનના તારાચંદ ખુરાનાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોની સેવા એ જ ઈશ્વરની સેવા છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગ સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવી સંસ્થાનો મુખ્ય હેતુ છે. આવા કેમ્પ દ્વારા નિષ્ણાત તબીબોની સેવાઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાની સાથે ગંભીર બીમારીઓનું સમયસર નિદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેમ્પમાં સેંકડો બાળકોએ આરોગ્ય તપાસ અને નિષ્ણાત તબીબોના પરામર્શનો લાભ લીધો હતો.સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમથી જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સહાય મળી હતી. આયોજકોએ આગામી સમયમાં પણ આવા સેવાકીય કેમ્પ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button