સુરત

સાકેત સેવા ફાઉન્ડેશનના 11મા-12મા ‘અનોખા પ્યાઉ’નું લોકાર્પણ

પોલીસ કમિશનર કચેરી અને ઇચ્છાનાથ મહાદેવ મંદિરે રાહદારીઓને મળશે ઠંડું અને શુદ્ધ પીવાનું પાણી

સુરત: રાહદારીઓને ઠંડું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેમજ સમાજમાં માનવસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે સાકેત સેવા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં 11મા અને 12મા ‘અનોખા પ્યાઉ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા પહેલ સાકેત ગ્રુપના સેવા સંકલ્પથી પ્રેરિત છે.

પોલીસ કમિશનર કચેરી પરિસરમાં આવેલા સ્ટીમ હાઉસ તેમજ પોલીસ લાઇન સ્થિત ઇચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાપિત બંને પ્યાઉનું લોકાર્પણ પોલીસ કમિશનર વાબાંગ જમીરે કર્યું હતું. આ પ્રસંગે તેમણે સાકેત સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ સામાજિક અને જનસેવાના કાર્યોની પ્રશંસા કરી હતી.

પોલીસ કમિશનર કચેરી પરિસરમાં સ્થાપિત પ્યાઉના પ્રાયોજક સ્ટીમ હાઉસ છે, જ્યારે ઇચ્છાનાથ મહાદેવ મંદિર ખાતેનો પ્યાઉ બાબુલાલ મિત્તલ દ્વારા સપ્રેમ ભેટ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યો છે.

સાકેત સેવા ફાઉન્ડેશનના સ્થાપક સાંવર પ્રસાદ બુધિયાએ જણાવ્યું હતું કે, સંસ્થાનો મૂળ સંદેશ ‘સેવા જ લક્ષ્ય, જળ છે તો કાલ છે’ છે. જરૂરિયાતમંદો સુધી સેવા પહોંચાડવા તેમજ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા ફાઉન્ડેશન સતત કાર્યરત છે. શહેરના વિવિધ સ્થળોએ પ્યાઉ સ્થાપિત કરી લોકોને શુદ્ધ અને ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની આ સેવા પ્રવૃત્તિ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

કાર્યક્રમમાં ‘ચાય પર ચર્ચા’ના સુભાષ ડાવર સહિત શહેરના અનેક આગેવાનો, સમાજસેવકો અને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બાગરિયા તથા ડીસીપી કરણ રાજસિંહ વાઘેલાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

સાકેત તરફથી રામાવતાર પારીક, વિરેન્દ્ર રાજાવત, પ્રકાશ બિંદલ અને ડૉ. મમતા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લઘુ ઉદ્યોગ ભારતી તરફથી રાજેન્દ્ર ચૌધરી અને પંકજ શર્મા સહિત અનેક કાર્યકરો તથા સમાજસેવકોએ કાર્યક્રમમાં સહભાગીતા નોંધાવી હતી.

સાકેત સેવા ફાઉન્ડેશનની આ પહેલ ‘સેવા જ લક્ષ્ય’ના સંકલ્પને સાકાર કરતી સુરત શહેરમાં માનવસેવા અને સામાજિક સહભાગિતાની પ્રેરણાદાયી પહેલ બની રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button