ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક જવાનની સતર્કતાથી અધેડને નવજીવન: CPR આપી બચાવ્યો જીવ

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાને સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં રસ્તા પર અચાનક બેભાન થઈને ઢળી પડેલા એક અધેડનો સમયસર CPR આપી જીવ બચાવ્યો હતો. જવાનની આ પ્રશંસનીય કામગીરીને સ્થાનિક લોકો તેમજ પોલીસ વિભાગે બિરદાવી છે.
મળતી માહિતી મુજબ, સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પરેશકુમાર કરશનભાઈ માળી ગોડાદરા વિસ્તારમાં પોતાના નિયમિત ડ્યૂટી પોઈન્ટ પર તૈનાત હતા. તે દરમિયાન એક અધેડ વ્યક્તિ ચાલતા-ચાલતા અચાનક ચક્કર આવતાં રસ્તા પર બેભાન થઈને ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી જમાદાર પરેશકુમારે વિલંબ કર્યા વગર પોલીસ કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી રાહ જોવી જોખમી બની શકે તેમ હોવાથી તેમણે પોલીસ તાલીમ દરમિયાન શીખેલી CPRની પદ્ધતિનો ઉપયોગ કરી બેભાન વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું.
સમયસર આપવામાં આવેલી CPRના કારણે અધેડ વ્યક્તિનો શ્વાસ ફરી શરૂ થયો અને તે ધીમે-ધીમે ભાનમાં આવ્યો હતો. થોડા જ સમયમાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતાં વ્યક્તિની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ ટ્રાફિક પોલીસે વ્યક્તિના પરિવારજનોનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી અને તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો હતો. જમાદાર પરેશકુમાર માળીની સતર્કતા, સમયસૂચકતા અને માનવતાભર્યા કાર્યની ગોડાદરા વિસ્તાર સહિત સમગ્ર સુરત પોલીસ બેડામાં પ્રશંસા થઈ રહી છે.



