શ્રી માધવ ગૌશાળાના ભવ્ય રક્તદાન શિબિરમાં 1,230 બ્લડ યુનિટનું ઐતિહાસિક સંગ્રહ
ગૌમાતાના આશીર્વાદ અને ગૌસેવકોની બે મહિનાની અખંડ મહેનતનું ફળ: આશિષ સુર્યવંશી

સુરત: સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા, ઉધના ખાતે આજે આયોજિત ભવ્ય મહા રક્તદાન શિબિરે માનવસેવાનો એક નવો ઇતિહાસ રચ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન 1,230 બ્લડ યુનિટ એકત્રિત થયા, જે સુરત શહેરમાં આયોજિત રક્તદાન શિબિરોમાં અગ્રણી સિદ્ધિ ગણાય તેવી નોંધપાત્ર ઉપલબ્ધિ છે.
સંસ્થાના અધ્યક્ષ આશિષ સુર્યવંશીએ પ્રેસને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી ઉધના, પાંડેસરા, બમરોલી, લિંબાયત, ભેસ્તાન, ડિંડોલી સહિતના વિસ્તારોના 400થી વધુ ગૌસેવકોએ ઘરેઘરે જઈ, વ્યક્તિગત સંપર્ક કરીને, સમાજના દરેક વર્ગને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. ગૌસેવકોની અવિરત મહેનત, સમાજના સહકાર અને રક્તદાતાઓના ઉત્સાહના પરિણામે આજે 1,230 બ્લડ યુનિટ એકત્રિત થઈ શક્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી શ્રી માધવ ગૌશાળાનો રક્તદાન શિબિર સુરત શહેરમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરતો આવ્યો છે અને આ વર્ષે પણ રક્તદાતાઓએ જે પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે, તે જોતા ફરી એકવાર સુરતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવાની પૂરી આશા છે.
શિબિરમાં રક્તદાન માટે આવેલા તમામ રક્તદાતાઓએ સૌપ્રથમ ગૌશાળા પરિસરમાં આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગૌમાતાનું પૂજન કરીને આ પવિત્ર ધામમાં માનવસેવાના મહાયજ્ઞ સમાન રક્તદાન કર્યું હતું. ગૌસેવા, દેવસેવા અને માનવસેવાનો આ અનોખો સમન્વય સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો.
આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, સ્થાનિક ધારાસભ્યશ્રી, વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો, સ્થાનિક નગરસેવકો, સામાજિક અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી રક્તદાતાઓનું પ્રોત્સાહન વધાર્યું હતું.
આશિષ સુર્યવંશીએ અંતમાં તમામ રક્તદાતાઓ, ગૌસેવકો, વિવિધ બ્લડ બેંકો, સેવાભાવી કાર્યકરો, દાતાશ્રીઓ, મીડિયા પ્રતિનિધિઓ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે “રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત કોઈ અજાણ્યા વ્યક્તિને નવજીવન આપી શકે છે. સમાજની આ સેવાભાવના જ આપણું સાચું બળ છે.”



