મહાવીર ઇન્ટરનેશનલ મુખ્ય શાખા, સુરત દ્વારા 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

સુરત: મહાવીર ઇન્ટરનેશનલ મુખ્ય શાખા, સુરત દ્વારા સ્થાપનાના 52મા વર્ષ નિમિત્તે ઉજવણી સપ્તાહ અંતર્ગત 17 જુલાઈ, 2026ના રોજ ગોડાદરા સ્થિત નગર પ્રાથમિક શાળા નં. 400માં શિક્ષણ સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા કાર્યનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો પૂરા પાડી તેમના અભ્યાસ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમમાં શાખાના ચેરમેન વિર સીએ દિનેશ જૈન, સેક્રેટરી વિર નરેશ લાલવાણી, વાઇસ ચેરમેન વિર આકાશ મદ્રેચા, વાઇસ ચેરપર્સન વીરા સુષમા જૈન, વિર સીએ મુકેશ જૈન, વીરા અસિતા લાલવાણી, વિર રાજેશ ચોરડિયા અને વિર ઋતિક ચોરડિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન સાથે સમાપન થયું હતું.
આ પ્રસંગે શાળાના અંદાજે 500 વિદ્યાર્થીઓને નોટબુક, સ્ટેશનરી કિટ, રમતગમતની સામગ્રી, દરી, આસન પટ્ટી, ખુરશીઓ સહિત અન્ય જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો.
શાખાના સભ્યોએ વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
મહાવીર ઇન્ટરનેશનલ મુખ્ય શાખા, સુરત દ્વારા આ સેવા કાર્યને સફળ બનાવવા બદલ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાખાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, “એક બાળકના શિક્ષણમાં આપવામાં આવેલું યોગદાન એ સમાજના ઉજ્જવળ ભવિષ્યમાં કરાયેલું રોકાણ છે.” તેમણે ઉમેર્યું હતું કે સંસ્થા ભવિષ્યમાં પણ શિક્ષણ, આરોગ્ય અને માનવસેવાના વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો સતત યોજતી રહેશે.



