
સુરત: તા.૨૧ મી જૂન ’વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યના રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગદિનની ઉજવણી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ મહાનુભાવો અને સુરતી નાગરિકોએ વિવિધ યોગ, પ્રાણાયામ, ધ્યાન વડે સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય જળશક્તિમંત્રીએ જણાવ્યું કે, યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાના પ્રતીકરૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે. વગર દવાએ શરીર અને મન- મસ્તિષ્કને સ્વસ્થ રાખતા યોગને સૌએ જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ.

વધુમાં મંત્રીએ કહ્યું કે, યોગ શરીર, મન અને ચેતનાને એકસૂત્રમાં બાંધે છે. યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે. અનિયમિત દિનચર્યા, અવિચારી ખાનપાન અને માનસિક તણાવ- સ્ટ્રેસ ભેટમાં મળ્યા છે, ત્યારે યોગ એ દવાનું કામ કરે છે.
યોગ એ સામાન્ય કસરત નથી, પણ સુખી જીવવાની ઉત્કૃષ્ટ શૈલી છે. યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે એમ જણાવતા મંત્રીએ વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્યપ્રેમી બનવા તેમણે આહ્વાન કર્યુ હતું.
‘Yoga for Healthy Ageing- સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ’ થીમ સાથે સમગ્ર સુરત જિલ્લામાં શહેર, તાલુકાકક્ષા તથા મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાએ કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્ય કક્ષાએ ગાંધીનગર જિલ્લાના માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમનું સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનશ્રી દેશવાસીઓને યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો.
૪૫ મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, જિ.પંચાયત પ્રમુખ સમીર મોદી, મેયર માયાબેન માવાણી, જિલ્લા કલેકટર તેજસ પરમાર, મ્યુ.કમિશનર એમ.નાગરાજન, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, VNSGU ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અશોક જીરાવાલા સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યોગબોર્ડના કર્મયોગીઓ, મોટી સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતા.



