બિઝનેસસુરત

ત્રિદિવસીય ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’ માં ૩૦થી વધુ બ્રાન્ડ પાર્ટીસિપેટ કરશે

‘સ્પાર્કલ’ પ્રદર્શનમાં બાયર્સને વિવિધ વેરાયટીઓ સાથેની રૂપિયા પ૦ હજારથી લઇને રૂપિયા ૧ કરોડ સુધીની બ્રાઇડલ જ્વેલરી મળી રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર, ર૦રર દરમ્યાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે જ્વેલરી ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.

જ્વેલરી મેન્યુફેકચરીંગ અને ડિઝાઇનીંગમાં સુરતની કેપેસિટી પણ વધી રહી છે ત્યારે સ્પાર્કલ એકઝીબીશનને હવે સુરત પૂરતું જ સીમિત રાખવામાં આવશે નહીં. સુરતમાં વર્ષોથી સફળ આયોજન બાદ સ્પાર્કલ એકઝીબીશનને અમદાવાદ, રાજકોટ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દેશના મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ ચેમ્બર દ્વારા કરવામાં આવશે.

સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ ઉપસ્થિત રહેશે. તદુપરાંત સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર સુરતની ૧૦૦ જેટલી મહિલા સાહસિકો પણ ઉદ્‌ઘાટન સમારોહમાં ખાસ હાજરી આપનાર છે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, સુરતના જ્વેલર્સ દ્વારા જ્વેલરીમાં આજે જે ટ્રેન્ડ ચાલી રહયો છે તે આજીવન ગ્રાહકોને પસંદ પડશે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને બ્રાઇડલ જ્વેલરી બનાવવામાં આવી છે. લગ્નસરા વખતે ભારતીય પરિવારો દ્વારા જીવનમાં એક અથવા બે વખત જ લાઇફ ટાઇમ માટે પારિવારીક ઘરેણું ખરીદવામાં આવે છે. સમયાંતરે બ્રાઇડલ જ્વેલરીની કિંમત વધતી જ જાય છે. આથી ગ્રાહકોની લાગણીઓને ધ્યાને લઇને સોનામાં રિયલ એમરલ્ડ સ્ટોન, રૂબી સ્ટોન, મોતી, પોલકી ડાયમંડ, રોઝ કટ ડાયમંડ અને કલર સ્ટોનનો ઉપયોગ કરીને અલૌકિક ફયુઝન જ્વેલરી બનાવવામાં આવી છે, જે સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.

સ્પાર્કલમાં પ્રદર્શિત થનાર જ્વેલરી છ મહિનાથી સ્પેશિયલ કારીગરો પાસે તથા જ્વેલરી ડિઝાઇનરો પાસે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં હેરીટેજ જ્વેલરી, એકસકલુઝીવ બ્રાઇડલ કલેકશન, નવાબી કન્સેપ્ટ, ફયુજન જ્વેલરી, પોલકી અનકટ જ્વેલરી, બિકાનરી મીના અને રજવાડી જ્વેલરી, ફેન્સી ડાયમંડ અને એન્ટી ગોલ્ડ જેવી સુરતમાં ડિઝાઇન થતી જ્વેલરી જે ભારતભરમાં વખાણાય છે તેને પ્રદર્શિત કરવામાં આવશે. એકઝીબીશનમાં રૂપિયા પ૦ હજારથી લઇને રૂપિયા ૧ કરોડ સુધી બ્રાઇડલ જ્વેલરી પ્રદર્શિત કરાશે. ગુણવત્તાયુકત અને વિવિધ ડિઝાઇનીંગ સાથેની અલૌકિક જ્વેલરી રિઝનેબલ ભાવે મળી રહેશે.

સ્પાર્કલના કો–ચેરમેન સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે, સુરત શહેરને જ્વેલરી હબ બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું. વિશ્વભરમાં વેચાતા ૧૦૦ માંથી ૯૦ ડાયમંડ સુરતમાં બને છે અને સુરતના જ્વેલર્સ અવનવી ડિઝાઇન બનાવવા માટે આગવી તૈયારી કરી રહયા છે ત્યારે સુરત વિશ્વનું જ્વેલરી હબ બની શકે છે. આવું એટલા માટે થઇ શકે છે કે સુરત જ્વેલરી ડિઝાઇનીંગ ફેકટર્સમાં પણ આગળ છે.

દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરાયું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર પ્રયાસ કરી રહયું છે. સ્પાર્કલ એકઝીબીશનને કસ્ટમર ફ્રેન્ડલી એકઝીબીશન બનાવવામાં આવ્યું છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાત તથા દેશભરના બાયર્સને સ્પાર્કલ પ્રદર્શનની પ્રતિક્ષા હોય છે. આથી ચેમ્બર દ્વારા ચાર વર્ષ બાદ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કર્યું છે. સ્પાર્કલના આયોજનમાંં શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. સ્પાર્કલ પ્રદર્શનમાં ભારતભરમાંથી ૩૦થી વધુ જ્વેલરી બ્રાન્ડ પાર્ટીસિપેટ કરી રહી છે.

સ્પાર્કલમાં પ૦૦ જેટલા પરિવારોનું સન્માન કરાશે

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે સુરત, નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ચેમ્બર દ્વારા પ૦૦ જેટલા પરિવારો કે જેમના ત્યાં આગામી ચાર – છ મહિનામાં લગ્ન થવાના છે તેઓને આઇડેન્ટીફાય કરી તેઓને સ્પાર્કલમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પરિવારોનું સ્પાર્કલમાં ચેમ્બર દ્વારા સન્માન કરવામાં આવશે.

સ્પાર્કલ પ્રદર્શનમાં ભાગ લેનારા જ્વેલર્સમાં કાંતિલાલ એન્ડ બ્રોસ જ્વેલર્સ, પચ્ચીગર જ્વેલર્સ, પચ્ચીગર એન્ડ સન્સ, શાહ વીરચંદ ગોવાનજી જ્વેલર્સ પ્રા.લિ., ડી. ખુશાલભાઇ જ્વેલર્સ, ધ્રુવ જેમ્સ પ્રા.લિ., ડી એન ઓર્નામેન્ટ્‌સ પ્રા.લિ., ન્યુ પટેલ જ્વેલર્સ, સી મનસુખલાલ જ્વેલર્સ, એન્ટીક ગોલ્ડ, ધ જ્વેલરી પેલેસ, શી જ્વેલ્સ, તુલસી જ્વેલર્સ, કેજરીવાલ જ્વેલર્સ, રાજશ્રી જ્વેલર્સ, ડીવેરા ડાયમંડ જ્વેલરી, કે. એમ. ચોકસી જ્વેલર્સ પ્રા.લિ., રાજ ઘરાના જ્વેલરી, બિકાનેર જ્વેલર્સ, સુરત જ્વેલરી શો, દાગીના જ્વેલર્સ (આઇ) પ્રા.લિ. અને હેપ્પી જેમ્સ એન્ડ જ્વેલરી તથા અન્ય જ્વેલર્સનો સમાવેશ થાય છે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના અન્ય કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. આ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને સુરત જ્વેલર્સ એસોસીએશન, વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન, જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ, વડોદરા જ્વેલર્સ એસોસીએશન, નવસારી જ્વેલર્સ એસોસીએશન, સુરત જ્વેલરી શો અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button