ગુજરાતસુરત

સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો પ્રારંભ

સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ

સુરત: સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપીંડીથી બચાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણરાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર પોલીસ દ્વારા અડાજણ-પાલના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સાયબર ઈન્ટેલિજન્સમાં ટેક્નોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દૂરૂપયોગ પણ થઈ રહ્યો છે. સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. કોઈ પણ શહેર જ્યારે પ્રગતિના પંથે જઈ રહ્યું હોય ત્યારે તેની સુરક્ષા અને સલામતી ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી સુરતને સાયબર સેફ શહેરની નવી નેમ ટેગ મળી છે.

સુરત શહેર પોલીસ ક્રાઈમ ડિટેક્શન અને પ્રો-એક્ટિવ પોલીસનું સૌથી મોટુ ઉદ્દાહરણ બની છે એમ જણાવી ગૃહરાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ટેક્લોનોજીને સમજીને તેનો સાચો ઉપયોગ કરવો એને જ ફોરવર્ડ વિચાર ધારા કહી શકાય. અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે. સાયબર ક્રાઈમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે.

સુરત પોલીસ દ્વારા વર્ષ-૨૦૨૧માં સાયબર ક્રાઈમના ૨૭૨ ગુના દાખલ કરવામાં આવ્યા, જે પૈકી ૧૨૬ ગુના ડિટેક્ટ થયા છે. વર્ષ-૨૦૨૨માં ૩૭૬ ગુના પૈકી ૨૧૮ ગુના ડિટેક્ટ થયા છે. જ્યારે વર્ષ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩માં (જુન મહિના સુધી) સાયબર ક્રાઈમનો ભોગ બનનાર ૧૨૪ વ્યક્તિઓને કુલ રૂ.૧.૦૨ કરોડની રકમ પરત આપવામાં સુરત પોલીસને સફળતા મળી હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યુ હતું.

સાયબર સંજીવની ૨.૦ અભિયાન દ્વારા સાયબર જાગૃતિ લાવી ઓનલાઈન છેતરપીંડી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવીને સુરતના નાગરિકોને સુરક્ષા-સલામતી આપવા માટે ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

વડીલો, દાદા-દાદી કે માતા-પિતાની ઉંમરના વ્યક્તિઓ આસાનીથી સાયબર ક્રાઈમનો ભોગ બની જતા હોય છે. તમારા સાચા મિત્ર બનીને વિદ્યાર્થીઓ, કિશોરો અને યુવાનો આગળ આવે એમ તેમણે જણાવ્યું હતું. આપણે સૌએ ઘરની તિજોરીની જેમ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટસમાં તમામ પ્રકારની માહિતી લોક રાખવા તેમજ અજાણ્યા વ્યક્તિની સોશિયલ મીડિયા પર આવતી રિક્વેસ્ટ ક્યારે એક્સસેપ્ટ ન કરીને આ અંગે અન્યને જાગૃત્ત કરવા કહ્યું હતું. સૌ સુરતીઓ સુરત પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર બનવા અને ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમની જાગૃતિ દર્શાવતી ક્લિપ્સને સમંયાતરે આપણા સોશિયલ મીડિયા પર અપલોડ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

કોલ પર ફરિયાદ દાખલ થાય એવી વ્યવસ્થા ઉભી કરવા માટે સુરત પોલીસને ગૃહરાજ્યમંત્રીશ્રીએ રચનાત્મક સૂચન કર્યું હતું. સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઈમથી બચાવવા મદદરૂપ બનશે એમ પણ તેમણે કહ્યું હતું.

સાયબર સેફ શહેરના નેમ ટેગની માહિતી આપતા સુરત પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, સાયબર સંજીવની અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો છે. કોઈ પણ શહેરને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસની મહત્વની ભૂમિકા હોય છે. સમગ્ર વિશ્વમાં ઝડપભેર સાયબર ક્રાઈમ વધી રહ્યા છે, ત્યારે સાયબર ક્રાઈમના ગુનાઓનું સૌથી વધુ ડિટેક્શન સુરત સાયબર ક્રાઈમ કરી રહી હોવાની વિગતો તેમણે આપી હતી.તેમણે નાગરિકો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઇન નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે એમ શ્રી તમારે કહ્યું હતું.  આ વેળાએ સાયબર ફ્રોડની જાગૃતિ દર્શાવતી ફિલ્મે હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે સાથે સાયબર ફ્રોડથી બચવા માટે ભજવાયેલી નાટિકા સૌએ નિહાળી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, અધિક પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલ, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૧)  પી.એમ.મલ, એડિશનલ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોર, ઝોન-૪ના ડીસીપી  સાગર બાગમાર, ડીસીપી  ભગીરથ ગઢવી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ સહિત શહેરીજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત પોલીસની બે સાયબર સંજીવની મોબાઈલ વાન પોલીસ સ્ટેશન દીઠ એક અઠવાડિયા માટે ભ્રમણ કરશે

સાયબર અવેરનેસ માટે સુરત પોલીસની બે સાયબર સંજીવની મોબાઈલ વાન શહેરના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારની શાળા-કોલેજો, ઔદ્યોગિક એકમો, જાહેર સ્થળો, સોસાયટીઓમાં પોલીસ સ્ટેશન દીઠ એક અઠવાડિયા માટે ફરશે, અને ઓડિયો, વિડીયો અને ક્વિઝના માધ્યમથી નાગરિકોને સાયબર ક્રાઈમથી જાગૃત કરશે.

આ વાનમાં સાયબરના જાણકાર પોલીસકર્મીઓ દ્વારા લોકોને પ્રત્યક્ષ રીતે માહિતી પહોંચાડી પેમ્ફલેટ વિતરણ કરી જાગૃત કરવામાં આવશે. આ સાથે સ્કુલો, કોલેજોનો સહકાર મેળવી માસ્ક અને શિલ્ડ સાથે વિદ્યાર્થીઓની સાયબર માર્ચ કરવામાં આવશે. ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલું શેરી નાટક શેરીએ શેરીએ  ભજવીને નાગરિકોને સાયબર ક્રાઈમથી જાગૃત કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button