ગુજરાતસુરત

 તા.૧ જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-૨૦૨૭’નો પ્રથમ તબક્કો

સુરત શહેરમાં વસ્તી ગણતરી પ્રક્રિયામાં ૧૦,૮૦૦ ગણતરીદારો અને ૧,૮૦૦ સુપરવાઈઝરો તૈનાત

સુરત : ‘જનગણનાથી જન કલ્યાણ’ના ઉમદા મંત્ર સાથે આવતીકાલે તા.૦૧ જૂન ૨૦૨૬, સોમવારથી સુરત શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરમાં ‘વસ્તી ગણતરી: જનગણના-૨૦૨૭’નો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના છે, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા સહિત જિલ્લાના તમામ વિસ્તારોને ચોક્કસ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs) માં વિભાજિત કરીને વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ મહાઅભિયાનના માઇક્રો-પ્લાનિંગ અંતર્ગત સુરત શહેરી વિસ્તારમાં વસ્તી ગણતરી પ્રક્રિયા માટે ૧૦,૮૦૦ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs), ૧૦,૮૦૦ ગણતરીદારો અને ૧૮૦૦ સુપરવાઈઝરો તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી ગણતરી પ્રક્રિયા માટે ૨૭૩૭ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs), ૨૬૪૬ ગણતરીદારો અને ૪૪૧ સુપરવાઈઝરો તૈનાત થઈને ટેકનોલોજીના માધ્યમથી આ કામગીરી આગળ ધપાવશે. આ સમગ્ર પ્રક્રિયાને સચોટ અને ક્ષતિરહિત બનાવવા માટે તમામ ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરતના તમામ નાગરિકોને પોતાના ઘરે આવતા ગણતરીદારોને સાચી માહિતી આપી પૂરો સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૧મે ૨૦૨૬ની સ્થિતિએ કુલ ૩૭ હજારથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે. જેમાંથી ૩૨ હજારથી વધુની કામગીરી પૂર્ણ થ‌ઈ છે, જ્યારે ૦૫ હજારથી વધુ સ્વ-ગણતરી ફોર્મ પ્રક્રિયામાં છે.
વસ્તી ગણતરી રાજ્યભરમાં આવતીકાલે તા.૧ જૂનથી ૩૦ જૂન-૨૦૨૬ દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે.

નોંધનીય છે કે, આ વખતની જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત કુલ ૧૬ ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિશેષ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરદાતાઓએ તા. ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન અધિકૃત પોર્ટલ પર પોતાની વિગતો જાતે નોંધાવી છે.

જનગણના અધિનિયમ-૧૯૪૮ હેઠળ નાગરિકોની તમામ વિગતો ગુપ્ત રખાશે; સાચી માહિતી આપવી અનિવાર્ય, ખોટી માહિતી કે ઇનકાર બદલ દંડની જોગવાઈ:

બીજા તબક્કામાં તા.૯ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૭ દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
વધુમાં, જનગણના અધિનિયમ, ૧૯૪૮ અને જનગણના નિયમો, ૧૯૯૦ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ વિગતોનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકશે નહીં. કાયદા અનુસાર દેશના દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અનિવાર્ય છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ કાયદામાં દંડની જોગવાઈ પણ છે.

જનગણના અંગે કોઈ પણ પૂછપરછ કરવી હોય, મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૫૫ અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો સંપર્ક કરવા જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button