સચિન-હજીરા હાઈવે નં.53ના ઊનખાડીના બ્રિજ ઉપર સમારકામના કારણે પીક અવર્સમાં થતાં ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ લાવવા પ્રયાસ કરાયો
![](https://divyagujarati.com/wp-content/uploads/2023/02/IMG-20230228-WA0019.jpg)
સુરત, સચિન-હજીરા હાઈવે નં.53 ઉપર છેલ્લાં ઘણાં લાંબા સમયથી સચિન જીઆઈડીસી ગેટ નં.2થી ગભેણી ચોકડી આગળ આવેલાં ઉનખાડીવાળા બ્રિજ સુધી વાહનોની કતાર લાગી જાય છે. પીક અવર્સ એટલે કે મોડી સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી દરેક વાહનચાલક તેમજ સચિન જીઆઈડીસી સહિત હોજીવાલા, પલસાણા, ડાયમંડ પાર્ક, લક્ષ્મી ટેક્સટાઈલ પાર્કના ઉદ્યોગકારો જેઓ વેસુ-વીઆઈપી-ખજોદ તરફ જનારા તમામ ટ્રાફિક જામમાં અટવાઈ પડે છે.
સચિન જીઆઈડીસી ગેટ નં.2થી ઉપર જણાવેલી જગ્યા વચ્ચેનું અંતર માત્ર 600 મીટર જેટલું છે પરંતુ ટ્રાફિકના કારણે આટલું અંતર કાપવામાં અંદાજે પોણો કલાકનો સમય સાથે ઈંધણનો નકામો વેડફાટ થતો હતો. સચિન જીઆઈડીસીના માજી શાસકોએ ઉદ્યોગકારો તેમજ સામાન્ય પ્રજા અને ટ્રાન્સપોર્ટના વાહનો સહિત કલાકો સુધી પોલીસ પ્રશાસનની કમરદર્દ કામગીરીનો પ્રયાસ લાવવા માટે હાઈવે ઓથોરીટીના પ્રતિનિધિ ભાટિયા ટોલના મુખ્ય મેનેજર રાજશેખર તિવારીનો સંપર્ક કરી તેમને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ટેલીફોનિક રજૂઆત કરી સ્થળ તપાસ કરાવી હતી. જેમાં સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના માજી સેક્રેટરીએ ભરબપોરે હાઈવે ઓથોરીટીના પ્રતિનિધિ-મેનેજર સાથે બ્રિજની મુલાકાત પણ લીધી હતી.
હાઈવે ઓથોરીટીના પ્રતિનિધિ રાજશેખર તિવારીએ રજૂઆતના આધારે સ્થળ તપાસ કરી નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે ઉનખાડીના બ્રિજ ઉપર રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે કાચા કામમાં અવરોધ ન થાય તે માટે આર.સી.સી બેરીકેટ કરાયો હતો. તેમણે સમારકામ થયેલાં કામના વિવિધ ફોટોગ્રાફ લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા તથા એક્સપર્ટની વિઝીટ કરાવવા સહિતની કામગીરી કરવા માટે બાંયધરી આપી હતી. તેમણે ઉમેર્યુ હતું કે ઉચ્ચકક્ષાએથી સમારકામ અંગેના પોઝીટીવ રીપોર્ટ આવશે તો આ બેરીકેટ હટાવી દેવામાં આવશે અને હાઈવે ઉપર થતાં ટ્રાફિકનું ભારણ એકદમ હળવું થઈ જશે.
ભૂતકાળમાં પણ સચિન સાતવલ્લા બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી જેનું નિવારણ પણ સચિન જીઆઈડીસીના માજી શાસકપક્ષના આગેવાનો પૈકી પ્રમુખ નિલેશ ગામી, સેક્રેટરી મયૂર ગોળવાલા, ઉદ્યોગકાર નિરવ સભાયા અને મોડે મોડે સુરત શહેર ભાજપ સંગઠનમંત્રી ભીખુભાઈ પટેલ દ્વારા લવાયું હતું. આ સિવાય સચિન ઓવરબ્રિજની નીચેથી વાહનોને યુ-ટર્ન લઈ શકે તેવો સુગમ રસ્તો પણ સચિન જીઆઈડીસીના માજી શાસકોએ તંત્રની સાથે રહી કઢાવી આપતાં હજ્જારો વાહન ચાલકોને ટ્રાફિકમાથી છુટકારો અપાવ્યો હતો.