બિઝનેસસુરત

ઉદ્યોગ જગતના પ્રશ્નોને લઈને ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત

મરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) જેવી સહાયકારી યોજના ફરીથી અમલમાં મૂકાવવા રજૂઆત કરાઇ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ  સહિતના પ્રતિનિધિ મંડળે ગુરૂવાર, તા. ર૩ એપ્રિલ, ર૦ર૬ના રોજ સુરત ખાતે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી ઉદ્યોગ જગતના વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  નિખિલ મદ્રાસીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોવિડ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) જેવી સહાયકારી યોજના વર્તમાન મિડલ ઈસ્ટમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફરીથી અમલમાં મુકવામાં આવે. ઉપરાંત, ઉદ્યોગકારોને છ મહિનાના મોરેટોરિયમ સાથે કોલેટરલ ફ્રી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી હતી.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે ગેસ પુરવઠામાં ઉભી થયેલી અનિશ્ચિતતાને દૂર કરવા અને ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. ગેસની અછતને કારણે શ્રમજીવીઓ સુરત છોડીને પોતાના વતને જઇ રહ્યા હોવાથી આ સ્થિતિ ઉદ્યોગ જગત માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું હતું. શ્રમજીવીઓની હિજરત અટકાવવા માટે તાત્કાલિક અસરથી ગેસ પુરવઠાની વ્યવસ્થા ઝડપી બનાવવાની માંગ કરવામાં આવી હતી.

ઉધના રેલ્વે સ્ટેશન ખાતે તાજેતરમાં આગોતરા આયોજન અને પૂરતી વ્યવસ્થાના અભાવે સર્જાયેલી અફરાતફરીની ઘટના ફરીથી નહીં બને તે માટે ગુજરાત સરકાર દ્વારા રેલ્વે મંત્રાલય સાથે સંકલન સાધી શ્રમજીવીઓ માટે સુવ્યવસ્થિત આયોજન સાથે તેઓને સુરત પરત લાવવા માટે વધુ ટ્રેનો દોડાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિને કારણે સુરત છોડીને વતન પરત ગયેલા શ્રમજીવીઓને ફરીથી સુરત પરત લાવવું અત્યંત આવશ્યક છે.

આ ઉપરાંત, સુરત નજીક સ્થાપિત થનારા પીએમ મિત્રા પાર્ક માટે તાત્કાલિક ડેવલપરની નિમણૂંક કરી પ્રોજેકટને વહેલી તકે કાર્યરત બનાવવાની મહત્વપૂર્ણ રજૂઆત પણ મુખ્યમંત્રીને કરવામાં આવી હતી. દેશના અન્ય રાજ્યોમાં પીએમ મિત્રા પાર્કના વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. સુરત જે દેશનું અગ્રણી ટેક્ષ્ટાઇલ હબ તરીકે ઓળખાય છે તથા સુરત પાસે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર, કુશળ માનવબળ અને વિકસિત ટેક્ષ્ટાઇલ ઈકોસિસ્ટમ હોવા છતાં આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં થયેલા વિલંબને કારણે ઉદ્યોગકારોમાં નિરાશાનો માહોલ સર્જાયો છે, આથી રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેકટને પ્રાથમિકતા આપીને તાત્કાલિક ડેવલપરની નિમણૂંક કરી વિકાસ પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવવામાં આવે તેવી ચેમ્બરે મુખ્યમંત્રીશ્રી સમક્ષ દ્રઢપણે રજૂઆત કરી હતી, જેથી સુરત ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે દેશ અને વિશ્વમાં પોતાનું આગવું સ્થાન વધુ મજબૂત બનાવી શકે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી તમામ રજૂઆતો મુખ્યમંત્રીએ શાંતિપૂર્વક સાંભળી હતી અને ઉદ્યોગ જગતના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં વધુમાં વધુ ઉદ્યોગકારો જોડાય તે માટે મુખ્યમંત્રીએ ચેમ્બરનો સહકાર માંગ્યો હતો. આ સંદર્ભે ચેમ્બર દ્વારા પૂર્ણ સહકાર આપવાની અને વધુમાં વધુ ઉદ્યોગકારોને કાર્યક્રમમાં જોડાવા પ્રોત્સાહિત કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button