ભારતના વૈશ્વિક વેપાર માટે વિઝિન્ઝમ બન્યું નવું ગેટવે
વિદેશી બંદરો પરની નિર્ભરતા ઘટશે, સમય અને લોજિસ્ટિક્સ ખર્ચમાં થશે બચત

તિરુવનંતપુરમ : ભારતના દરિયાઈ વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વિકાસ તરીકે વિઝિન્ઝમ ઇન્ટરનેશનલ સીપોર્ટે સંપૂર્ણ આયાત-નિકાસ (EXIM) કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ સાથે વિઝિન્ઝમ માત્ર ટ્રાન્સશિપમેન્ટ હબ નહીં, પરંતુ ભારતીય નિકાસકારો અને આયાતકારોને વૈશ્વિક બજારો સાથે સીધા જોડતું મહત્વપૂર્ણ ગેટવે બન્યું છે.
કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન, ઉદ્યોગ મંત્રી પી.કે. કુંહાલિકુટ્ટી, ધારાસભ્ય શ્રી એમ. વિન્સેન્ટ, ભારત સરકારના મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર જનરલ શ્રી શ્યામ જગન્નાથન (IAS) સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં EXIM કામગીરીનો પ્રારંભ થયો હતો. હવે વિઝિન્ઝમ પર આંતરરાષ્ટ્રીય શિપિંગ સેવાઓ વચ્ચે ટ્રાન્સશિપમેન્ટ ઉપરાંત ભારત આવતા અને ભારતમાંથી જતા કાર્ગોનું પણ સીધું સંચાલન શક્ય બનશે.
આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું હતું કે, “વિઝિન્ઝમ હવે વિશ્વ માટે એક ગેટવે છે. મજબૂત રોડ-રેલ કનેક્ટિવિટી અને મોટા ખાનગી રોકાણો દ્વારા આ તકનો મહત્તમ લાભ લેવાનો સમય આવી ગયો છે.” તેમણે રિંગ રોડ માટે જમીન સંપાદન માટે ₹3,200 કરોડ ફાળવવાની જાહેરાત પણ કરી હતી.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના CEO અને હોલ-ટાઇમ ડાયરેક્ટર અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વિઝિન્ઝમ કેરળની પ્રતિભા અને ભારતની આકાંક્ષાઓને વૈશ્વિક બજારો સાથે જોડતો નવો ગેટવે છે.” તેમણે ઉમેર્યું કે આ વિકાસ ભારતની આત્મનિર્ભરતા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને મેરિટાઇમ ક્ષેત્રે નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.
હાલમાં ભારતનો 75 ટકાથી વધુ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો વિદેશી બંદરો મારફતે હેન્ડલ થાય છે. વિઝિન્ઝમની EXIM કામગીરીથી આ નિર્ભરતા ઘટાડવામાં તેમજ સમય અને લોજિસ્ટિક્સ ખર્ચમાં બચત કરવામાં મદદ મળશે.
3 ડિસેમ્બર 2024ના રોજ વ્યાપારી કામગીરી શરૂ કરનાર વિઝિન્ઝમે અત્યાર સુધી 2.28 મિલિયનથી વધુ TEUs અને 1,100થી વધુ જહાજોનું સંચાલન કર્યું છે. તેમાં 80થી વધુ અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સનો સમાવેશ થાય છે. પોર્ટે માત્ર 10 મહિનામાં 1 મિલિયન અને 18 મહિનામાં 2 મિલિયન TEUsનો આંકડો પાર કર્યો છે.
પ્રારંભિક તબક્કામાં EXIM કામગીરીનો સીધો લાભ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઉદ્યોગોને મળશે. બેંગલુરુ, કોઈમ્બતોર અને તિરુપ્પુર જેવા ઉત્પાદન કેન્દ્રોને વૈશ્વિક શિપિંગ નેટવર્કની વધુ ઝડપી અને કાર્યક્ષમ પહોંચ મળશે. સાથે જ લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને ફ્રેટ ફોરવર્ડિંગ ક્ષેત્રે 5,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.
આગામી 16,000 કરોડના બીજા તબક્કાના વિસ્તરણથી પોર્ટની વાર્ષિક ક્ષમતા વધીને 5.7 મિલિયન TEUs થશે. 1,200 મીટરની નવી કન્ટેનર બર્થ ઉપરાંત રેલ-રોડ કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ પાર્ક અને વેરહાઉસિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સમગ્ર તબક્કો ડિસેમ્બર 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
વિઝિન્ઝમનું EXIM ગેટવે તરીકેનું આ રૂપાંતર ભારતના વૈશ્વિક વેપારને નવી ગતિ આપશે અને કેરળને દેશના મેરિટાઇમ તથા લોજિસ્ટિક્સ નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.



