
સુરત: એસવીએનઆઈટી, સુરત ખાતે યોજાયેલા ‘વન ડે–વન યુનિવર્સિટી’ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વિદ્યાર્થીઓ અને યુવા શક્તિ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશની યુવા શક્તિ સાથે સંવાદ કરવાનો અનુભવ અત્યંત આનંદદાયક રહ્યો.
પાટીલે યુવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘હર ઘર જલ, હર ઘર સ્વચ્છતા’ના સંકલ્પ તથા ‘જળ સંચય–જનભાગીદારી’ દ્વારા જળ સંરક્ષણને જનઆંદોલન બનાવવાના વિઝન અંગે ચર્ચા કરી હતી. જળ અને સ્વચ્છતા સાથે જોડાયેલી સમસ્યાઓના ઉકેલ માટે વિદ્યાર્થીઓએ રજૂ કરેલા ઇનોવેશન અને નવા વિચારો જાણીને તેમને વિશેષ પ્રસન્નતા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે યુનિવર્સિટી અને કોલેજો ઇનોવેશન તથા વૈજ્ઞાનિક સંશોધનના મહત્વપૂર્ણ કેન્દ્રો છે. જળ અને સ્વચ્છતા ક્ષેત્રે જમીની સ્તરની સમસ્યાઓના વ્યવહારુ અને ઓછા ખર્ચે ઉકેલો શોધવામાં શૈક્ષણિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે.
કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવા શક્તિ, વિજ્ઞાન, ઇનોવેશન અને જનભાગીદારીના સંયુક્ત પ્રયાસોથી વડાપ્રધાનના જળસુરક્ષિત અને સ્વચ્છ ભારતના સંકલ્પને નવી ગતિ મળશે. તેમણે વિદ્યાર્થીઓને જળ સંરક્ષણ અને સ્વચ્છતાના ક્ષેત્રે નવા પ્રયોગો તથા અસરકારક ઉકેલો વિકસાવવા આહ્વાન કર્યું હતું.



