Gen Zને પૂર્વ DGP વિક્રમસિંહની શીખ: સોશિયલ મીડિયા, સાયબર ક્રાઇમ અને નશાથી દૂર રહો
નેશન ફર્સ્ટ’ના રાષ્ટ્ર જાગરણ કાર્યક્રમમાં પૂર્વ DGPએ સાયબર ક્રાઇમ, હની ટ્રેપ અને આંતરિક સુરક્ષા અંગે લોકોને કર્યા જાગૃત

સુરત:સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ‘નેશન ફર્સ્ટ’ દ્વારા રવિવારે દેવસર માતા મંદિર, મહેંદીપુર બાલાજી પાસે રાષ્ટ્ર જાગરણ અને સામાજિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) વિક્રમસિંહે ‘ક્રાઇમ ફ્રી સુરત’ વિષય પર લોકોને સંબોધિત કરી સુરક્ષિત અને અપરાધમુક્ત સમાજ માટે પોલીસ સાથે જનસહભાગિતાને જરૂરી ગણાવી હતી.
કાર્યક્રમની શરૂઆત સાકેતના સ્તંભ અને રાજસ્થાન યુવા સંઘના પૂર્વ પ્રમુખ સ્વ. વિક્રમસિંહ શેખાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ બે મિનિટનું મૌન પાળી તેમની સામાજિક સેવા અને સંગઠન પ્રત્યેના યોગદાનને યાદ કર્યું હતું.
ત્યારબાદ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રા કાઢી ‘સુરક્ષિત સુરત-જવાબદાર સુરત’નો સંદેશ આપ્યો હતો.

‘અપરાધ નિયંત્રણ માત્ર પોલીસની જવાબદારી નથી’
પૂર્વ DGP વિક્રમસિંહે જણાવ્યું હતું કે અપરાધ નિયંત્રણ માત્ર પોલીસ અને વહીવટી તંત્રની જવાબદારી નથી. **જાગૃત અને જવાબદાર નાગરિકોની સક્રિય ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
તેમણે લોકોને કાયદાનું પાલન કરવા, આસપાસની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા અને જરૂરી માહિતી સમયસર પોલીસ તથા વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની અપીલ કરી હતી. સાથે જ કાયદો હાથમાં લેવાને બદલે કાયદાકીય પ્રક્રિયામાં પોલીસને સહયોગ આપવો એ જવાબદાર નાગરિકની ફરજ હોવાનું જણાવ્યું હતું.
સાયબર ક્રાઇમ અને હની ટ્રેપથી સાવધાન રહેવા અપીલ
બદલાતા સમયમાં સાયબર ક્રાઇમ અને હની ટ્રેપના વધતા જોખમ અંગે પણ પૂર્વ DGPએ લોકોને સાવચેત કર્યા હતા. તેમણે અજાણ્યા વ્યક્તિ સાથે ખાનગી કે સંવેદનશીલ માહિતી શેર ન કરવા, OTP અને બેંકિંગ વિગતો સુરક્ષિત રાખવા તથા શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ સુરક્ષા હવે નાગરિક સુરક્ષાનો અભિન્ન હિસ્સો બની ગઈ છે.
આંતરિક સુરક્ષામાં નાગરિકોની ભૂમિકા મહત્વની
આંતરિક સુરક્ષાના મુદ્દે વાત કરતાં વિક્રમસિંહે બાંગ્લાદેશી ઘૂસણખોરી અને શંકાસ્પદ ઓળખ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિને માત્ર ભાષા, પહેરવેશ, ધર્મ કે મૂળ સ્થાનના આધારે શંકાસ્પદ માનવું યોગ્ય નથી.
જો કોઈ વ્યક્તિની ઓળખ કે દસ્તાવેજ અંગે વાસ્તવિક અને નક્કર શંકા હોય તો નાગરિકોએ જાતે કાર્યવાહી કરવાને બદલે પોલીસ અથવા સંબંધિત વહીવટી તંત્રને જાણ કરી કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ આપવો જોઈએ.
પંચ પરિવર્તનથી સામાજિક જાગૃતિનો સંદેશ
કાર્યક્રમ દરમિયાન સંઘના પંચ પરિવર્તન અંતર્ગત સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ DGPએ જણાવ્યું હતું કે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ જાગૃત નાગરિકો, સંસ્કારી પરિવારો અને જવાબદાર સમાજથી થાય છે.
Gen Zને પણ આપ્યો ખાસ સંદેશ
યુવા પેઢી અને Gen Zને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે યુવાનો પાસે ટેક્નોલોજી, ઊર્જા અને નવી વિચારસરણીની મોટી શક્તિ છે. આ શક્તિનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે થવો જોઈએ.
તેમણે યુવાનોને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, ફેક ન્યૂઝ અને અફવાઓથી દૂર રહેવા, સાયબર ક્રાઇમ અંગે જાગૃત રહેવા તેમજ નશા અને ગુનાથી દૂર રહેવા અપીલ કરી હતી.“યુવાનો માત્ર દેશનું ભવિષ્ય નથી, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ છે.”
‘પોલીસની તાકાત સાથે જનતાનો સહયોગ જરૂરી’
સાકેતના સ્થાપક સાંવર પ્રસાદ બુધિયાએ જણાવ્યું હતું કે ‘ક્રાઇમ ફ્રી સુરત’ માત્ર કાર્યક્રમ કે નારો નથી, પરંતુ સુરતને સુરક્ષિત, જાગૃત અને જવાબદાર શહેર બનાવવાનો સામૂહિક સંકલ્પ છે.
તેમણે કહ્યું કે પોલીસની તાકાત સાથે જ્યારે જનતાની જાગૃતિ અને સહયોગ જોડાય છે ત્યારે જ અપરાધ સામેની લડાઈ વધુ મજબૂત બને છે.
મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત
કાર્યક્રમમાં પબ્લિક કોલેજના વાઇસ ચાન્સેલર કિરણ પંડ્યા, ઓટો યુનિવર્સિટીના ડિરેક્ટર વિરજ રાદડિયા, અશોક ટિબરીવાલ, શાંતિ વઘાસિયા, વી.કે. સોની, રામાવતાર પારીક, વીરેન્દ્ર રાજાવત, મમતા ભક્કડ અને ડુંગરસિંહ સહિત વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
રાજસ્થાન યુવા સંઘ તરફથી ગિરધારી રાજપુરોહિત તેમજ લઘુ ઉદ્યોગ ભારતી તરફથી રાજેન્દ્ર ચૌધરી, પંકજ શર્મા, મહેન્દ્ર પટેલ, શિશપાલ રાતુસારિયા, અમિત ખંડેલા, કિશન શર્મા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોએ સુરક્ષિત, જાગૃત, સંસ્કારી અને અપરાધમુક્ત સુરતના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ લીધો હતો.



