સુરત

એચઓસી વેદાંતા – એમઓસી કેન્સર કેર દ્વારા સુરતમાં આધુનિક કેન્સર કેર સેન્ટરની શરૂઆત; દર્દીઓની સારવાર યાત્રાને સરળ બનાવી વધુ સારા પરિણામો તરફ એક મહત્વપૂર્ણ પગલું

સુરત : અદ્યતન અને ગુણવત્તાસભર કેન્સર સારવારને વધુ સુલભ બનાવવાના ઉદ્દેશ સાથે, એચઓસી વેદાંતા – એમઓસી કેન્સર કેર સાથેના વ્યૂહાત્મક સહકાર હેઠળ આજે સુરતના વેસુ વિસ્તારમાં કેન્સર કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર સુરત તથા દક્ષિણ ગુજરાતના દર્દીઓને વિશ્વસનીય, વૈજ્ઞાનિક પુરાવા આધારિત અને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ કેન્સર સારવાર પ્રદાન કરવા માટે સમર્પિત રહેશે.

સુરતમાં શરૂ થયેલું આ કેન્દ્ર ગુજરાતમાં HOC Vedantaનું છઠ્ઠું અને HOC–MOC નેટવર્કનું દેશવ્યાપી 29મું કેન્સર કેર સેન્ટર છે. પાંચ લાખથી વધુ કેન્સર દર્દીઓના જીવનને સ્પર્શનાર તથા દર વર્ષે 85,000થી વધુ કીમો-ઇમ્યુનોથેરાપી સારવાર પ્રદાન કરનાર આ નેટવર્ક દ્વારા અદ્યતન, નિષ્ણાત અને દર્દી-કેન્દ્રિત કેન્સર સારવારને વધુ સુલભ બનાવવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી મળી છે.

ઉદ્ઘાટન પ્રસંગે એચઓસી વેદાંતા –સુરતના વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. જયંતી પટેલે જણાવ્યું હતું કે, “કેન્સરની વહેલી ઓળખ અને સમયસરની સારવાર દર્દીઓના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે. છતાં પણ અનેક દર્દીઓને વિશેષ કેન્સર સારવાર માટે મોટા શહેરોમાં જવું પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને માનસિક તણાવ વધે છે. HOC Vedanta–M|O|C Cancer Careનો પ્રયાસ અદ્યતન કેન્સર સારવારને દર્દીઓની નજીક લાવવાનો છે, જેથી તેઓને ગુણવત્તાસભર સારવાર માટે અનાવશ્યક મુસાફરી ન કરવી પડે.”

આ પ્રસંગે એચઓસી વેદાંતા –સુરતના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. અનોખી શાહે જણાવ્યું હતું કે, “કેન્સરની સારવાર એક લાંબી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દર્દી અને તેમના પરિવાર માટે સારવારની ગુણવત્તા જેટલી મહત્વપૂર્ણ છે, એટલી જ મહત્વપૂર્ણ તેની સુલભતા અને અનુકૂળતા પણ છે. અમારા કેન્દ્રનો ઉદ્દેશ માત્ર અદ્યતન સારવાર પ્રદાન કરવાનો નથી, પરંતુ દર્દીઓને સહાનુભૂતિપૂર્ણ, વ્યક્તિગત અને સરળ અનુભવ પણ આપવાનો છે.”

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદના આંકડા મુજબ વર્ષ 2025 દરમિયાન સંસ્થામાં 16,794 નવા કેન્સરના કેસ નોંધાયા હતા. જેમાં પુરુષોમાં માથા અને ગળાના કેન્સર તથા મહિલાઓમાં સ્તન કેન્સરના કેસોનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હતું. રાજ્યમાં કેન્સરના વધતા બોજને ધ્યાનમાં રાખતા, દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની છે.

HOC Vedanta–સુરત ખાતે નિદાનથી લઈને કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને સપોર્ટિવ કેર સહિતની આધુનિક કેન્સર સારવાર સેવાઓ અનુભવી ઓન્કોલોજિસ્ટોની દેખરેખ હેઠળ ઉપલબ્ધ રહેશે. દર્દીઓને સુરક્ષિત, સ્વચ્છ અને આરામદાયક વાતાવરણમાં સારવાર મળી રહે તે માટે કેન્દ્રને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

એચઓસી વેદાંતા – એમઓસી કેન્સર કેરનું જોડાણ ભારતના અગ્રણી કોમ્યુનિટી ઓન્કોલોજી નેટવર્ક્સમાંનું એક છે. 30થી વધુ કેન્સર કેર સેન્ટર્સ અને 60થી વધુ ઓન્કોલોજિસ્ટ્સની ટીમ સાથે આ નેટવર્ક દર્દી-કેન્દ્રિત, પુરાવા આધારિત અને અદ્યતન કેન્સર સારવાર પ્રદાન કરવા માટે કાર્યરત છે. ક્લિનિકલ શ્રેષ્ઠતા, શૈક્ષણિક અભિગમ અને સુલભ સારવારના મિશન સાથે HOC–MOC દેશભરના દર્દીઓને ગુણવત્તાસભર કેન્સર સારવાર તેમના નિવાસસ્થાનની નજીક ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button