દેશવાસીઓને ઇંધણ બચતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સુરત મહાનગરપાલિકાનું સમર્થન: પાલિકાના ૨૯ હજાર કર્મીઓની ઇંધણ બચત માટે આગેકૂચ
“SMC કર્મીઓની સાથે રોડ સફાઈના મશીનથી લઇ સિટી બસ, BRTS સહિતના પાલિકાના ૪ હજાર જેટલા વાહનોમાં ઇંધણ બચત માટે અલાયદી કાર્યવાહી કરાશે”: સુરત મ્યુ.કમિશનર એમ.નાગરાજન

સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઇંધણ બચત અંગે કરાયેલી દેશવ્યાપી અપીલને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈધણ બચત અંગે લેવામાં આવનારા પગલાઓ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ.નાગરાજને તાપી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
કમિશનરએ જણાવ્યું કે, SMCના સફાઈ કામદાર, પટાવાળાથી ડે.કમિ. અને કમિશનર સહિત અંદાજે ૨૯ હજાર પાલિકા કર્મીઓ સ્વૈચ્છિક રીતે પેટ્રોલ, ડીઝલ સહિતના ઈંધણની બચત માટે સંકલ્પબધ્ધ થયા છે. માટે ઘરેથી કચેરી કે પછી કચેરી કાર્ય અર્થે ફિલ્ડ પર જતાં-આવતા અધિકારી/કર્મચારીઓ ત્રણથી ચારની ટીમમાં ફિલ્ડ વિઝીટ કરશે. આ ઉપરાંત રૂટ અને કાર્ય વ્યવસ્થાપન કરી ખાનગી વાહનોને સ્થાને કાર પુલિંગના વિકલ્પને અપનાવશે. સાથે જ તેમણે રોડ સફાઈના મશીનથી લઇ સિટી બસ, BRTS સહિતના પાલિકાના ૪ હજાર જેટલા વાહનોમાં ઇંધણ બચત માટે અલાયદી કાર્યવાહી કરવાની જાણકારી આપી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, ઇંધણ પૂર્તિ માટે સેન્ટ્રલ વર્કશોપ અને સેન્ટ્રલ ડેપોની જગ્યાએ ડીસેન્ટ્રલાઇઝડ વ્યવસ્થા ઉભી કરાશે જેથી ત્યાં સુધી પહોંચવાના અંતર સુધીની ૧ થી ૧.૫૦ કિમીનાં ઇંધણની બચત પણ કરી શકાય. કમિશનરશ્રીએ દરેક શક્ય જગ્યાએ ઈંધણનો ઓછો અને સદુપયોગ કરવા તેમજ રાષ્ટ્રહિતમાં અનિશ્ચિત સમય મુદત સુધી આ પ્રમાણેની કાર્યપદ્ધતિ અપનાવવાની તૈયારી દર્શાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી કટોકટીની પરિસ્થિતિને કારણે વિશ્વવ્યાપી ઇંધણ સંકટને ધ્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દેશવાસીઓને વીજળી, ઇંધણ બચત અને ગ્રીન ગવર્નન્સને પ્રાધાન્ય આપવા રાષ્ટ્રજોગ અપીલ કરવામાં આવી હતી. તેમજ કામકાજના સ્થળે આધુનિકતા-ડિજીટાઈઝેશનનો યોગ્ય ઉપયોગ કરી ઇંધણની સાથે જ માનવશ્રમ અને સમયની બચત કરવા જણાવ્યું હતું. ઇંધણ વપરાશમાં ઘટાડો કરવાથી પ્રદુષણ મુક્ત પર્યાવરણના લાભ વિષે પણ જણાવ્યું હતું.



