ધર્મ દર્શનનેશનલબિઝનેસ

અયોધ્યામાં ગૌતમ અદાણી: આસ્થા અને સેવાના સંદેશ સાથે ભારતની પરંપરાઓને નમન

અયોધ્યા, ૨જી એપ્રિલ ૨૦૨૬: અદાણી સમૂહના ચેરમેન  ગૌતમ અદાણીએ આજે તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, જ્યેષ્ઠ પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના દર્શન કર્યા હતા. શ્રી નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં શૈક્ષણિક સંવાદ માટે જતા પૂર્વે, કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, ભક્તિ અને સભ્યતાના પ્રતીક સમાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મસ્થળે નિર્મિત ભવ્ય મંદિરમાં તેમણે પરિવાર સાથે પૂજા-અર્ચના કરી હતી.

શ્રી અદાણીએ જણાવ્યું હતું કે, જોગાનુજોગ આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે અયોધ્યાની તેમની આ મુલાકાત ઊંડી શ્રદ્ધા અને સેવાભાવનાની એક અંગત ક્ષણ છે, જ્યાં તેમની વ્યક્તિગત આસ્થા વ્યાપક રાષ્ટ્રીય હિતની ગાથા સાથે સહજ રીતે જોડાઈ છે.

રામલલ્લાના દર્શનને અંતઃકરણની અનુભૂતિ અને ગૌરવ ગણાવતા તેમણે કહ્યું હતું કે, આ મંદિર માત્ર એક ધાર્મિક સીમાચિહ્ન નથી, પરંતુ તે ભારતની સાંસ્કૃતિક નિરંતરતા, એકતા અને વધતા આત્મવિશ્વાસનું પ્રતીક પણ છે. ગૌતમ અદાણીએ ઉમેર્યું હતું કે, ભગવાન રામચંદ્રજીના પ્રામાણિકતા, કર્તવ્ય અને સેવાના આદર્શો રાષ્ટ્રની ભાવિ યાત્રા માટે આપણા માર્ગદર્શક સિદ્ધાંતો બનીને રાહ ચીંધે છે.

આ વિચારને અનુસરીને શ્રદ્ધાભાવ સાથે વિસ્તરેલી આ મુલાકાત, મંદિરથી લગભગ ૧૦ મિનિટના અંતરે આવેલા શ્રી નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં ભારતની જ્ઞાન પરંપરાઓની જીવંત અભિવ્યક્તિમાં પરિવર્તિત થઈ હતી.

સ્વામી ત્યાગનંદજી દ્વારા પરંપરાગત ગુરુકુળ પ્રણાલી મુજબ ૧૯૩૫માં સ્થાપિત શ્રી નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલય, આર્ય સમાજના સિદ્ધાંતો પર આધારિત છે. જે વૈદિક શિક્ષણ, સામાજિક ઉત્થાન અને સુલભ શિક્ષણ પર ભાર મૂકતી સુધારાવાદી ચળવળનું મૂળ ધરાવે છે. નિવાસી મોડેલ પર આધારિત આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ગુરુઓના માર્ગદર્શન હેઠળ રહીને અભ્યાસ કરે છે.

શ્રી અદાણીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરવાની સાથે અહીંના શૈક્ષણિક વાતાવરણનું અવલોકન કર્યું હતું, જે શિસ્ત, જિજ્ઞાસા અને મૂલ્યો દ્વારા ભારતની સભ્યતા તથા જ્ઞાન પ્રણાલીઓના સંવર્ધન અને પ્રસારને એકસૂત્રે જોડે છે.
મુલાકાત દરમિયાન સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે શિક્ષણ મૂલ્યોમાં મૂળ ધરાવે છે, ત્યારે તે માત્ર વ્યક્તિઓને જ નહીં, પરંતુ રાષ્ટ્રના ભવિષ્યને પણ આકાર આપે છે. આવતીકાલની તકો માટે સજ્જ થતી વખતે આ પરંપરાઓને આગળ ધપાવવી એ આપણી જવાબદારી છે. દેશ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યો હોય, ત્યારે પણ ભારતની જ્ઞાન પ્રણાલીઓનું જતન કરવું અનિવાર્ય છે. સામાજિક ઉત્કર્ષની જવાબદારી નિભાવતા અદાણી સમૂહના સામાજિક કલ્યાણ વિભાગ ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા તેમણે AI-સક્ષમ લેબોરેટરી સ્થાપીને પરંપરા અને ટેકનોલોજીના સમન્વય દ્વારા આ ગુરુકુળ ઇકોસિસ્ટમને ટેકો આપવાની ખાતરી આપી હતી.

આશરે ૨૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપીને આ ગુરુકુળ જ્ઞાન સુલભ અને સર્વસમાવેશક બને તેની ખાતરી કરે છે. કેમ્પસમાં આવેલી પરંપરાગત ગૌશાળા, શૈક્ષણિક વાતાવરણમાં સાંસ્કૃતિક, પર્યાવરણીય અને ગ્રામીણ પ્રથાઓના એકીકરણને પ્રતિબિંબિત કરે છે. સમૃદ્ધ વારસો ધરાવતી આ સંસ્થાના પ્રારંભિક મુલાકાતીઓમાં મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવી વિભૂતિઓ સામેલ હતી.

મુલાકાત વેળાએ જ્યારે શિષ્યગણે સમૂહ સ્વરે સંસ્કૃત શ્લોકોનું પઠન કર્યું અને તેના ધ્વનિ તરંગો સમગ્ર કેમ્પસમાં ગુંજી ઉઠ્યા, ત્યારે તેમાં વ્યક્ત થતી નિષ્ઠા અને શ્રદ્ધાને અદાણી પરિવારે વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને ધ્યાનમગ્ન થઈ સાંભળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button