
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક પ્રશંસનીય અને આદર્શ નિર્ણય લીધો છે. સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ કારનો ઉપયોગ કરશે નહીં.
આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રના હિતમાં યોગદાન આપવાનો છે. સી.આર. પાટીલે આજથી જ આ નિયમનો અમલ શરૂ કરી દીધો છે અને તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં એસ્કોર્ટ કે પાયલોટ ગાડી વગર જ રવાના થયા હતા.
કેન્દ્રીય મંત્રીના આ નિર્ણયથી અન્ય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મંત્રી મંડળોને પણ કરકસર માટે પ્રેરણા મળશે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, જ્યારે દેશ અને દુનિયા ક્રૂડ ઓઈલની કટોકટીનો સામનો કરી રહી હોય, ત્યારે એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું એ આપણી ફરજ છે. વડાપ્રધાનના ‘જળ શક્તિ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા અભિયાનોને જે રીતે તેમણે સફળ બનાવ્યા છે, તેમ હવે ઈંધણ બચાવવાના આ સંદેશને પણ તેઓ જન-જન સુધી પહોંચાડવા માંગે છે.
કેન્દ્રીય મંત્રીના આ ‘પહેલ’ ને કારણે સામાન્ય નાગરિકોમાં પણ એક સકારાત્મક સંદેશ ગયો છે કે નેતૃત્વ જ્યારે પોતે અમલ કરે છે ત્યારે જ સમાજમાં મોટું પરિવર્તન આવે છે.



