
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૮ ફેબ્રુઆરી, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં ‘આઇપીઓપ્રિન્યોર્સ’વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં નિષ્ણાંત વકતાઓ તરીકે મુંબઇ સ્થિત બીએસઇ એસએમઇના હેડ અજય કુમાર ઠાકુર, અમદાવાદ સ્થિત નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ આશીષ ગોયલ, સુરત સ્થિત જૈનમ બ્રોકીંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર મિલન પરીખ અને અમદાવાદ સ્થિત બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રા.લિ.ના ડાયરેકટર સીએ નિખિલ શાહ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી જુદા–જુદા વ્યવસાયમાં ઝંપલાવી રહી છે અને આ ઉદ્યોગ સાહસિકો પાંચ–દસ વર્ષમાં તેઓના બિઝનેસ તથા કંપનીને એક ઊંચાઇ સુધી લઇ જાય છે. આ કંપનીઓને સ્ટોક એક્ષ્ચેન્જીસની યાદીમાં સ્થાન મળે તે માટે ઉદ્યોગ સાહસિકોએ કયા પ્રકારના પ્રયાસ કરવા જોઇએ ? તેની વિસ્તૃત માહિતી અને સમજણ નિષ્ણાંતો દ્વારા આ કાર્યક્રમમાં આપવામાં આવશે. વધુમાં તેમણે કહયું કે, ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીએ આ કાર્યક્રમના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરતું ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલી પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પણ પ્રયાસ કરી રહયું છે. દક્ષિણ ગુજરાતની મોટા ભાગની કંપનીઓ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ ઉપર લીસ્ટેડ નથી. આથી લીસ્ટેડ દક્ષિણ ગુજરાતની કંપનીઓના ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવા તેમજ અન્ય ઉદ્યોગ સાહસિકો પોતાની કંપનીને લીસ્ટેડ કરી શકે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં નિષ્ણાંતો દ્વારા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાશે.