સુરત

ઉમરા પોલીસ સ્ટેશનથી વિભાજિત થયેલા નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

પનાસ ગામ કેનાલ રોડ ખાતે સાકાર થયું છે નવું પોલીસ સ્ટેશન

સુરત:બુધવાર: ઉમરા પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી પનાસ ગામ, કેનાલ રોડ ખાતે જનભાગીદારીથી નવનિર્માણ પામેલા અદ્યતન વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વેસુ પોલીસ સ્ટેશનના કારણે સિટીલાઈટ, અણુવ્રત દ્વારથી કેનાલ રોડ, આભવા ચોકડી, એસ.કે.નગર ચોકડી, વાય જંકશન સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે.

આ સાથે શહેરમાં કુલ ૩૩ પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે. મંત્રીએ કાપડ વ્યાપારીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવાના પ્રયાસરૂપે ફોગવા, ફોસ્ટા જેવી અગ્રણી સંસ્થાઓએ સાથે મળીને બનાવેલી ‘ટેક્ષટાઈલ સુરક્ષા સેતુ એપ’નુ પણ આ અવસરે લોન્ચિંગ કર્યું હતું.

વિકાસની ગતિએ ઝડપથી આગળ વધી રહેલા સુરતને નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનની ભેટ આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, નવું પોલીસ સ્ટેશન પોલીસ અને નાગરિકોના સહયોગ અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. વિકાસને પંથે આગળ વધી રહેલા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય તેમજ વધતા જતા વ્યાપારી વર્ગ અને વધતી વસ્તીને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ સરકારની પ્રાથમિકતા છે.

ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારોમાં પોલીસની કામગીરીની સરાહના કરતા મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આગામી દિવસોમાં સ્થાનિક વિસ્તારના ક્રાઈમ રેટ, લોકોની માંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ નવા પોલીસ મથકોનું નિર્માણ કરશે. તેમણે દરેક પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશને કોઈ સમસ્યા લઈને આવનાર વડીલો, આમ નાગરિકોને સભ્યતા સાથે મદદરૂપ બનવા ઉપરાંત પોલીસ અને નાગરિક વચ્ચે લાગણીનો સેતુ રચવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજય તોમરે રાષ્ટ્રીય સ્તરે સમૃદ્ધ શહેર તરીકે ઓળખાતા સુરતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાનું અમારૂં એકમાત્ર ધ્યેય હોવાનું જણાવી ઉમેર્યું કે, કોઈ સામાન્ય પોલીસ સ્ટેશનની સરખામણીમાં અહીં પોલીસકર્મીઓ સ્થાનિક લોકો સાથે બેસી ચર્ચા-વિચારણા કરી રિએક્ટિવ પોલિસીની જગ્યાએ સોલ્યુશન બેઝ્ડ એપ્રોચ અપનાવશે. જેથી લોકપ્રશ્નો આસાનીથી ઉકેલી શકાશે. ક્રાઈમ ડિટેક્ટિંગમાં પણ સુરત પોલીસની સિદ્ધિઓની વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે મેયર હેમાલીબેન બોધાવાલા, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, વિવેકભાઈ પટેલ, કાંતિભાઈ બલર, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ, નર્મદ યુનિ.ના વાઇસ ચાન્સેલર ડૉ. કે.એન.ચાવડા, નાયબ અધિક પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલ, ઉચ્ચ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button