બિઝનેસસુરત

કેમિકલ અને પેટ્રો કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને બીઆઇએસ લાયસન્સ – સર્ટિફિકેટની જરૂરિયાત વિષે માહિતી અપાઇ

સિરીઝ ઓફ માનક મંથન અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ તથા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ– સુરત બ્રાંચના સંયુકત ઉપક્રમે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ– સુરત બ્રાંચના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા. ર૭ ડિસેમ્બર, ર૦રર ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને માનક મંથન’વિષય ઉપર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીઆઇએસ– સુરત બ્રાંચ ઓફિસના ડાયરેકટર એન્ડ હેડ એસ.કે. સિંઘ તથા ડેપ્યુટી ડાયરેકટરો ઇશાન ત્રિવેદી અને અભિષેક નાયડુએ ઉદ્યોગકારોને કેમિકલ અને પેટ્રો કેમિકલ ઉદ્યોગો માટે જે બીઆઇએસ સર્ટિફિકેટ લેવાનું હોય છે તેના સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉદ્યોગકારોને લાઇવ ડેમોન્સ્ટ્રેશન થકી વિગતવાર સમજણ આપી માનક મંથનના ધારાધોરણો વિષે પણ જાણકારી અપાઇ હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારતના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ)માં કેમિકલ ઇન્ડસ્ટ્રીનો ૭ ટકાનો હિસ્સો છે. ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી તરીકે છઠ્ઠા ક્રમે તથા એશિયામાં ત્રીજા ક્રમે છે. વર્ષ ર૦૧૯માં કેમિકલ ઇન્ડસ્ટ્રીની વેલ્યુ ૧૦૦ બિલિયન ડોલર્સ નોંધાઇ હતી. આ ઇન્ડસ્ટ્રીને કારણે પાંચ મિલિયન લોકોને રોજગારી મળી રહી છે. કેમિકલના પ્રોડકશનમાં ગુજરાતનો ફાળો ભારતના કુલ ઉત્પાદનમાં પ૩ ટકા છે અને આવી રીતે ગુજરાત ભારતનું સૌથી મોટું કેમિકલ પ્રોડયુસ કરનારું હબ છે. જ્યારે પેટ્રો કેમિકલ્સના ઉત્પાદનમાં દક્ષિણ ગુજરાતનો ફાળો ભારતના કુલ ઉત્પાદનમાં ૩પ ટકા જેટલો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત હવે એકસપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડકશન ઉપર ભાર આપી રહયું છે ત્યારે કવોલિટી પ્રોડકશન માટે બીઆઇએસ જરૂરી છે. આ અંગેની ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે અને હવે પછી પણ માનક મંથન અંતર્ગત દરેક ઇન્ડસ્ટ્રીમાં આ બાબતની અવેરનેસ લાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા સંયુકતપણે અવેરનેસ પ્રોગ્રામો યોજાશે.

એસ. કે. સિંઘે જણાવ્યું હતું કે, કુલ ૭૦૦૦ જેટલી પ્રોડકટ્‌સ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અંતર્ગત આવે છે. જેથી સુરતના મોટા ભાગના ઉદ્યોગો બીઆઇએસ સાથે સંકળાયેલા છે. જે ઉદ્યોગકારો કેમિકલ તથા પેટ્રો કેમિકલ પ્રોડકટનું ઉત્પાદન કરે છે, તેને વેચે છે, આયાત કરે છે અને ખરીદ કરે છે તેઓને બીઆઇએસ સર્ટિફિકેટ લેવાનું હોય છે. બીઆઇએસની ઘણી બધી એકટીવિટી છે. જેમાં મુખ્યત્વે સ્ટાન્ડર્ડાઇઝેશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ પ્રોડકટ સર્ટિફિકેટ આપવા તથા વિવિધ કમિટીઓ દ્વારા સ્ટાન્ડર્ડ નકકી કરવાના હોય છે. બીઆઇએસ અત્યાર સુધી ૧૧૦૦ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન બનાવી ચૂકયું છે. ભારતભરમાં ૪૦ હજારથી વધુ આઇએસઆઇ માર્કાવાળા બીઆઇએસના લાયસન્સ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે બીઆઇએસ સ્ટાન્ડર્ડ એ એકસપોર્ટને પ્રમોટ કરે છે, ઇમ્પોર્ટના વિકલ્પો આપે છે અને એન્વાયરમેન્ટ સેફટી એશ્યોર્ડ કરે છે. બીઆઇએસની વેબસાઇટ ઉપર પ્રોડકટ સ્પેસિફિકેશન કન્સર્ન લીસ્ટ ઉપલબ્ધ છે. એના સંબંધિત કમેન્ટ્‌સ આપી શકાય છે, જે સંબંધિત કમિટીઓ સુધી તાત્કાલિક પહોંચી જાય છે. આ ઉપરાંત બીઆઇએસ કેર એપ થકી ઉદ્યોગકારોને મોબાઇલ પર જ બધી માહિતી મળી જશે. બીઆઇએસ લાયસન્સ લેનાર સ્ટાર્ટ–અપ્સ તથા મહિલા સાહસિકોને લાયસન્સની કુલ ફીમાં પ૦ ટકાની રાહત આપી છે. જ્યારે એમએસએમઇને ર૦ ટકાની છુટ આપી છે. આ રાહત માત્ર ત્રણ વર્ષ માટે છે. તેમણે ઉદ્યોગકારોને બીઆઇએસ લાયસન્સ લેવાનું કેમ જરૂરી છે તેના વિષે વિસ્તૃત સમજણ આપી હતી.

અભિષેક નાયડુએ જણાવ્યું હતું કે, બીઆઇએસ લાયસન્સ લેવાથી પર્યાવરણને કેટલું ઓછું નુકસાન થાય છે તેના સંબંધિત ઇકોમાર્ક ઇન્ડસ્ટ્રીને મળે છે. કેમિકલની પ૧ પ્રોડકટ્‌સ સ્ટાન્ડર્ડ છે. ભારતમાં ૪૯ જેટલા ઉદ્યોગોએ બીઆઇએસનું ઇકોમાર્ક લીધું છે. કેમિકલ અને પેટ્રો કેમિકલના સૌથી વધુ એકમો દક્ષિણ ગુજરાતમાં આવેલા છે. ભારતમાં સંબંધિત ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાતું પોટેશિયમ શુનાઇટ એ ગુજરાતમાં બને છે. તેમણે વધુમાં કહયું કે, લોકોએ આઇએસઆઇ માર્કાવાળા જ રમકડાં પણ બાળકો માટે ખરીદવા જોઇએ.

નિશાંત ત્રિવેદીએ બીઆઇએસ લાયસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની હોય છે તેના વિષે લાઇવ ડેમોન્સ્ટ્રેશન બતાવી ઉદ્યોગકારોને માહિતી આપી હતી. તેમણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ગેઝેટ નોટિફિકેશન, એમેડમેન્ટ્‌સ, ડોકયુમેન્ટ્‌સ તથા લેબોરેટરી કલાસિફિકેશન ડિટેલ્સ સંબંધિત માહિતી આપી હતી. તેમણે પ્રોડકટ સ્પેસિફિક જાણકારી પણ ઉદ્યોગકારોને આપી હતી.

આ અવેરનેસ પ્રોગ્રામના કન્વીનર નૈનેષ પચ્ચીગરે કાર્યક્રમનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરની કેમિકલ ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિએટ કમિટીના ચેરમેન શ્રેયાંસ ગોયલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સવાલ–જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button