સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ‘ઇન્ડિયન આર્મી’ માં ૧૯ વર્ષ સેવા આપી સેવાનિવૃત્ત થયેલા ACP (Assured Career Progression) હવલદાર જિતેન્દ્ર ઈશ્વર ચંદ્રકોરનું તેમના પરિવાર અને ડીંડોલી વિસ્તારના લોકોએ ભવ્ય સ્વાગત- અભિવાદન કર્યું હતું. એક સામાન્ય પરિવારના એક સામાન્ય યુવાનથી લઈને દેશના પ્રતિનિધિ ACP સુધી ની સફર (૨૫, જુલાઈ ૨૦૦૫- ૩૧, મે ૨૦૨૪) દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરમાં જોખમી અને સંવેદનશીલ મિશનોમાં પણ સહભાગી રહ્યા હતા. સ્વાગત દ્રશ્યો નિહાળી રહેલા તમામ લોકોની આખોમાં ખુશી અને ગર્વના આંસુઓ હતા.
નિવૃત્ત ACP હવલદાર જીતેન્દ્રભાઈએ કહ્યું હતું કે, જયારે આર્મીમાં જોડાવાની વાત ઘરે કરી હતી ત્યારે મારા પરિવારે હકારાત્મક અભિગમથી આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. પરિણામે આર્મીમાં જોડાઈને દેશસેવા કરવાનું સ્વપ્ન પૂરું કરી શક્યો. સરહદ પર ડ્યુટી નિભાવવાની વાત આવે ત્યારે મારી માતા મધુરબાઈએ ભારે હૃદયથી આ વાતનો સ્વીકાર કર્યો હતો. હાલ એમના અવસાનને ૧૦ વર્ષ થયા પરંતુ આજે અહીં હોત તો સૌથી વધારે ખુશ થાત. મેં ભારત માતાને હંમેશા જન્મ આપનાર જનેતાની જેમ જ પ્રેમ કર્યો અને ૧૯ વર્ષ સુધી સફળ સેવા આપી છે, પણ હું માનું છું કે એક સૈનિક ક્યારેય નિવૃત નથી થતો, ‘રાષ્ટ્ર સેવા ભાવ’ છેલ્લા શ્વાસ સુધી સૈનિક સાથે રહે છે.