વરસાદી સંકટમાં મહાવીર ઇન્ટરનેશનલ બન્યું મુસાફરોનો સહારો
સુરત રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને 1 હજાર ફૂડ પેકેટ અને 2 હજાર પાણીની બોટલોનું વિતરણ

સુરત:સુરત–મુંબઈ રેલ માર્ગ પર સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે હજારો રેલવે મુસાફરો સુરત રેલવે સ્ટેશન પર ફસાઈ ગયા હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મહાવીર ઇન્ટરનેશનલ મુખ્ય શાખા, સુરતે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં જરૂરિયાતમંદ મુસાફરોને 1 હજાર ફૂડ પેકેટ અને 2 હજાર પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું.
આ સેવા અભિયાન CCIM અને સુરત રેલવે સ્ટેશનના અધિકારી ગણેશ જાધવની વિનંતી બાદ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ફસાયેલા મુસાફરોને ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરીને રાહત પહોંચાડી હતી.
સેવા કાર્ય દરમિયાન મહાવીર ઇન્ટરનેશનલ મુખ્ય શાખાના સચિવ વીર નરેશ લાલવાણી, સંયુક્ત સચિવ વીર વિકાસ આચ્છા, ઇન્ટરનેશનલ કો-ડિરેક્ટર વીર સંતોકચંદ નાહર તથા વીર યશવંત સુરાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારોએ જાતે પોતાના હાથે મુસાફરોને ભોજન અને પાણીનું વિતરણ કરીને સેવા, સંવેદના અને સમર્પણનો સંદેશ આપ્યો હતો.
મહાવીર ઇન્ટરનેશનલના પ્રમુખ દિનેશ જૈને જણાવ્યું હતું કે, સંસ્થાનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે આપત્તિ કે જરૂરિયાતની દરેક ઘડીમાં જરૂરિયાતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે અને માનવસેવાનું કાર્ય સતત ચાલુ રાખવામાં આવે.



