ગુજરાતસુરત

સુરત સિવિલની સરકારી નર્સિંગ કૉલેજના ૭ વિદ્યાર્થીઓ AIIMS માં ‘નર્સિંગ ઓફિસર’ તરીકે પસંદગી પામ્યા

આજ સુધી સુરત સરકારી નર્સિંગ કૉલેજના ૨૭ વિદ્યાર્થીઓ એઈમ્સમાં નર્સિંગ ઓફિસર’ તરીકે પસંદગી પામ્યા છે

સુરત: નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી નર્સિંગ કૉલેજના વધુ ૭ વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષા NORCET (નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ) પાસ કરી દેશની પ્રતિષ્ઠિત AIIMS મંગલગીરી (આંધ્રપ્રદેશ) અને AIIMS ભોપાલ ખાતે ‘નર્સિંગ ઓફિસર’ તરીકે પસંદગી મેળવી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ સફળ વિદ્યાર્થીઓમાં દક્ષિણ ગુજરાતના સામાન્ય આદિવાસી પરિવારના સંતાનોનો સમાવેશ થાય છે. આ ગૌરવશાળી વિદ્યાર્થીઓએ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. મંત્રીશ્રી પાટીલે નર્સિંગ ઓફિસરોને શુભકામના પાઠવી સમાજ સેવા-દેશ સેવામાં સમર્પિત થવા પ્રેરિત કર્યા હતા.

ફરજ પર હાજર રહી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવનાર આ વિદ્યાર્થીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિગ કોલેજનો ઉમદા સાથસહકાર મળ્યો હતો. આ સાત વિદ્યાર્થીઓ એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે.

કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં ફરજ દરમિયાન ત્યાંની ભાષા અને સંસ્કૃતિ સાથે સાયુજ્ય સાધી દર્દીઓની ઉત્તમ સેવા કરો અને પરિવાર સહિત ગુજરાતનું નામ રોશન કરો. તેમણે આ સફળતા બદલ નર્સિંગ કૉલેજના તમામ શિક્ષકો અને સ્ટાફની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદથી વિમોચન થયેલું ‘આત્મબોધ’ પુસ્તક કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક નર્સિંગ પ્રોફેશનલ્સ માટે દર્દીઓ પ્રત્યેનું વર્તન, સંવાદ શૈલી અને સેવાકીય વ્યવહાર કેવો હોવો જોઈએ તેના પર પ્રકાશ પાડે છે.

કોરોનાકાળના ‘વોરિયર્સ’ હવે વૈશ્વિક ફલક પર: આદિજાતિ નર્સિંગ વિદ્યાર્થીઓ દેશવિદેશમાં નર્સિંગ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે: નર્સિંગ કૉલેજના પ્રિન્સિપાલ ડો.ઇન્દ્રાવતી રાવ

સુરતની સરકારી નર્સિંગ કૉલેજના પ્રિન્સિપાલ ઇન્દ્રાવતી રાવે ગર્વભેર જણાવ્યું હતું કે, કૉલેજના સ્ટાફની સખત મહેનત અને વિદ્યાર્થીઓની ધગશના પરિણામે એકલા સુરતમાંથી ૪૦થી વધુ વિદ્યાર્થીઓ AIIMS, રેલવે અને કેન્દ્રીય સેવાઓમાં પસંદગી પામ્યા છે, જ્યારે ૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ નર્સિંગના ઉચ્ચ શિક્ષણ અને તાલીમ બાદ લંડન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રજિસ્ટર્ડ નર્સ તરીકે વૈશ્વિક સ્તરે સેવા આપી રહ્યા છે. આ એ જ પ્રશિક્ષિત બાળકો છે જેમણે કોવિડ-૧૯ની મહામારીના કપરા સમયમાં પણ પોતાના જીવના જોખમે પ્રશંસનીય ફરજ બજાવી હતી. આદિજાતિ નર્સિંગ વિદ્યાર્થીઓ દેશવિદેશમાં નર્સિંગ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે.

The Trained Nurses Association of India (TNAI) ના સેક્રેટરી  ઈકબાલ કડીવાલાએ પ્રધાનમંત્રી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, મેડિકલ અને નર્સિંગ સંલગ્ન સુપર સ્પેશિયાલિટી સારવારના વ્યાપ વધવાથી સમાજને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી છે અને નર્સિંગ ઓફિસરો માટે આકર્ષક વેતન સાથે રોજગારીની નવી દિશાઓ ખુલી છે. રાજ્યમાં તબીબી ક્ષેત્રે નર્સિંગમાં કેરિયર બનાવવામાં સુરત શહેર હવે અગ્રેસર થઈ રહ્યું છે. આજ સુધીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૪૮થી વધુ નર્સિંગ સ્ટાફની AIIMS માં પસંદગી થઈ ચૂકી છે. આ વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના સાત વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના NORCET પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button