મુશળધાર વરસાદ વચ્ચે ફસાયેલા મુસાફરોને મહાવીર ઇન્ટરનેશનલનો સહારો, સુરત સ્ટેશન પર 500 ફૂડ પેકેટનું વિતરણ
1000 પાણીની બોટલ અને 1000 બિસ્કિટ પેકેટ આપી રાહત પહોંચાડી, રાત્રે મોડીસુધી સેવા અભિયાન ચલાવાયું

સુરત: ભારે વરસાદને કારણે અમદાવાદ–મુંબઈ રેલવે માર્ગ પર ટ્રેન વ્યવહાર ખોરવાતા સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો ફસાઈ ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં મહાવીર ઇન્ટરનેશનલ, મુખ્ય શાખા–સુરતે તાત્કાલિક સેવા કાર્ય શરૂ કરીને મુસાફરોને ભોજન, પીવાનું પાણી અને જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
CCIM સુરત રેલવે સ્ટેશનના શ્રી ગણેશજી જાધવની વિનંતિના આધારે સંસ્થાએ સેવા અભિયાન હાથ ધર્યું. આ દરમિયાન 500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 6 પૂરી, શાક અને અથાણું સામેલ હતું. ઉપરાંત 1000 પાણીની બોટલ અને 1000 બિસ્કિટ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેના કારણે સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને નોંધપાત્ર રાહત મળી.
6 જુલાઈ, 2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યે યોજાયેલા આ સેવા કાર્યનું નેતૃત્વ સંસ્થાના સેક્રેટરી વિર નરેશ લાલવાણી અને વિર પ્રણવ દિનેશ જૈને કર્યું હતું. બંને કાર્યકર્તાઓ સ્વયં સુરત રેલવે સ્ટેશન પર હાજર રહી પોતાના હાથે મુસાફરોને ભોજન અને જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું.
મહાવીર ઇન્ટરનેશનલ, મુખ્ય શાખા–સુરત દ્વારા જણાવાયું કે સંસ્થા આપત્તિ અને જરૂરિયાતના દરેક સમયે સમાજસેવા માટે હંમેશા તત્પર રહે છે. સંસ્થાનું સૂત્ર છે, “માનવ સેવા એ જ સાચી સેવા.”



