મહાવીર ઇન્ટરનેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના નવા સેવા કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ

સુરત: મહાવીર ઇન્ટરનેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ, મુખ્ય શાખા–સુરતના નવા સેવા કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ રવિવારે વેસુ સ્થિત ટાઇમ્સ સ્ક્વેર ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં સંસ્થાના 150થી વધુ વીર, વીરાઓ તેમજ બાળકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
સંસ્થાના અધ્યક્ષ વીર સીએ દિનેશ જૈન, સચિવ વીર નરેશ લલવાણી અને ખજાનચી વીર સીએ રાજેશ માલૂએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી સુરતમાં તબીબી કેમ્પ, નેત્ર તપાસ, અન્ન વિતરણ, શિક્ષણ સહાય, કૌશલ્ય વિકાસ સહિત વિવિધ જનસેવાના કાર્યો કરી રહ્યું છે. નવા કાયમી સેવા કાર્યાલયના પ્રારંભથી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમજ વધુ વ્યાપક અને અસરકારક રીતે લોકો સુધી સેવા પહોંચાડી શકાશે.
કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, આંતરરાષ્ટ્રીય હોદ્દેદારો, ગુજરાત ઝોનના હોદ્દેદારો તેમજ સંસ્થાના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ મહેમાન તરીકે સુરત મહાનગરપાલિકાના જનપ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમનો સમાપન સેવા, સહયોગ અને માનવકલ્યાણના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો.



